સીએમ રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેનની ગાંધીનગરમાં બેઠક યોજાઈ!
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિ આયોગના વાઇસ ચેરમેન સાથે મુલાકાત કરી હતી. જેમાં રાજ્ય સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ, વિકાસ કાર્યો અને કોવિડ મહામારી દરમિયાનની આરોગ્ય લક્ષી કામગીરી મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત હતા.
નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે ગુજરાત સરકારની કૃષિ, ઉર્જા, ગ્રામિણ વિકાસ, જળ વ્યવસ્થાપન અને સિંચાઇ યોજનાઓના અસરકારક અમલીકરણથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતે એફડીઆઇ માં જે સિદ્ધિ મેળવી છે તેની તુલના હવે વિશ્વના વિકસિત દેશોના પ્રદેશો સાથે થવી જોઈએ.
રાજીવ કુમારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાન સ્થિત સીએમ ડેશબોર્ડથી થતી ડીજીટલ ગવર્નન્સની કામગીરી અને રાજ્ય સરકારના તમામ વિભાગોની કામગીરીનું રિયલ ટાઈમ મોનીટરીંગ, રાજ્ય સરકાર દ્વારા ધોલેરા SIRને સિંગાપોરથી મોટુ સ્માર્ટ સિટી બનાવવા માટેના આયોજન અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની સરાહના પણ કરી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવ અશ્વિનિ કુમાર, અધિક મુખ્ય સચિવ (શહેરી વિકાસ) મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ (મહેસુલ) કમલ દયાની, અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) મનોજ અગ્રવાલ, અગ્ર સચિવ (ઉચ્ચ શિક્ષણ) એસ. જે. હૈદર, અગ્ર સચિવ (ઉર્જા) મમતા વર્મા, સચિવ (ગ્રામ વિકાસ) સોનલ મિશ્રા, સચિવ (કૃષિ) મનીષ ભારદ્વાજ, સચિવ (પાણી પુરવઠા) ધનંજય દ્વિવેદી, સચિવ (પ્રાથમિક શિક્ષણ) ડૉ. વિનોદ રાવ, સચિવ (આયોજન) રાકેશ શંકર, સચિવ (સાયન્સ એન્ડ ટેકનોલોજી) વિજય નહેરા, સચિવ (સિંચાઈ) એમ. કે. જાદવ અને સચિવ (પશુપાલન) નલિન બી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.