ટેકાના ભાવે ચણાની ખરીદી 25 ટકાથી વધારીને હવે 40 ટકા કરવા ગુજરાત સરકારની કેન્દ્રને રજુઆત
ગુજરાત સરકારે ટેકાના ભાવે કરાતી ચણાની ખરીદી વધારવા કેન્દ્ર સરકારને રજુઆત કરાઈ છે. હાલ 25 ટકા ચણાની ખરીદી કરાય છે ત્યારે હવે રાજ્ય સરકારે 40 ટકા કરવા રજુઆત કરી છે.
ગાંધીનગર : દર વર્ષે સરકાર રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે. હવે ગુજરાત સરકારે રાજ્યમાં ટેકાના ભાવે ચણાના કુલ ઉત્પાદનની 25 ટકા ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રાસાયણિક-ઉર્વરક આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સાથે મુલાકાત કરી આ રજુઆત કરી છે.
ગુજરાતમાં ચણા પકવતા વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવની યોજના હેઠળ પોષણક્ષમ ભાવ પૂરા પાડવા ટેકાના ભાવે ખરીદી કરાય છે. જેના ભાગરૂપે ચણાની ટેકાના ભાવે ખરીદી બાબતે હાલમાં રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકાની ખરીદીની મર્યાદા વધારીને 40 ટકા સુધી કરવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને રજુઆત કરી છે.
મુલાકાત દરમિયાન રાધવજી પટેલે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ ગુજરાતના વધુને વધુ ખેડૂતોને લાભ મળી રહે, કૃષિ સંલગ્ન માળખાકીય સુવિધાઓ ઊભી થાય તેમજ ખેડૂતની આવક વધે તે હેતુસર આગામી વર્ષે વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તે અંગે કેન્દ્રીય કૃષિ મંત્રીને અપીલ કરી હતી.
રાધવજી પટેલે રાસાયણીક અને ઉર્વરક મંત્રી મનસુખ માંડવીયાની શુભેચ્છા મુલાકાત કરી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને જરૂરીયાત મુજબ પુરતા જથ્થામાં ખાતરની ફાળવણી કરાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કચ્છ જિલ્લામાં ખાતરની તંગી ન વર્તાય તે માટે લોજિસ્ટિક સંબંધિત ખાસ વ્યવસ્થા ઉભી થાય તે માટે પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં સબસીડાઇઝ યુરીયા ખાતરનાં ડાયવર્ઝન રોકવા ગુજરાત સરકાર દ્વારા લીધેલ પગલાં અંગે કેન્દ્રીય મંત્રીને માંડવીયાને માહિતગાર કર્યા હતા અને સૂચનોની આપ-લે કરી હતી.