અગ્ર સચિવ અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં અંબાજી મેળાની સમીક્ષાત્મક બેઠક યોજાઈ!
બનાસકાંઠાના અંબાજીમાં દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે.
બનાસકાંઠાના અંબાજીમાં દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર મેળો યોજવા સજ્જ બન્યું છે. પાલનપુર કલેકટર કચેરી ખાતે રમત- ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા યાત્રાધામના વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને મેળાના આયોજન અંગે યોજાયેલ સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું હતુ. તેમણે અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજનની સમીક્ષા કરી મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી.
અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, દર્શન માટે રેલીંગની વ્યવસ્થા કરી દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. મેળા દરમ્યાન વહેલી સવારે-૫.૦૦ વાગ્યાથી ભક્તો દર્શન કરી શકશે. મેળા દરમ્યાન સતત સ્વચ્છતા જળવાય તે માટે સ્વચ્છતા સમિતિ તથા સલામતિ, કાયદો અને વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવી છે.
અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફિકેશન કરાશે.