પંજાબની જેમ ગુજરાતમાં પણ પરિવર્તનની લહેરઃ ભાવનગરમાં બોલ્યા મુખ્યમંત્રી ભગવંત માન
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન ભાવનગર પહોંચ્યા. બંને નેતાઓએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી. જાણો ભગવંત માને શું કહ્યુ.
ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ફરી એક વાર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન ભાવનગર પહોંચ્યા. બંને નેતાઓએ એક વિશાળ જનસભાને સંબોધિત કરી. અહીં સીએમ માને કહ્યુ કે ગુજરાતના લોકોએ ભાજપને સત્તામાંથી બહાર કરીને આમ આદમી પાર્ટીના હકમાં જાદેશ આપવાનુ મન બનાવી લીધુ છે. તેમણે કહ્યુ કે 'આપ'ના હકમાં ચાલતી હવા, હવે આંધીમાં ફેરવાઈ ગઈ છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ કે ગુજરાતના યુવાનોને પરિવર્તન જોઈએ છે. ગુજરાતમાં એક આંધી ઉઠી છે. એક મોકો અમને આપો પછી બીજા કોઈને મોકો આપવાની જરુર નહિ રહે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં મુખ્યમંત્રી માને કહ્યુ કે પાર્ટી ગુજરાતમાં પરિવર્તનનો મુદ્દો જોરશોરથી ઉઠાવી રહી છે. આ પાર્ટી 'એમએલએ એક્સચેન્જ પાર્ટી' બની ગઈ છે કારણ કે તેના મોટાભાગના ધારાસભ્યો અન્ય પક્ષોમાં ભળી રહ્યા છે. કોંગ્રેસે હવે લડવાનુ કામ છોડી દીધુ છે. દિલ્લીમાં છેલ્લા 8 વર્ષથી એક પણ ધારાસભ્ય કોંગ્રેસનો નથી. રાજ્યમાં સામાન્ય લોકોની દયનીય સ્થિતિ માટે ભાજપની ટીકા કરતા ભગવંત માને કહ્યુ કે જનતાની સંપત્તિ લૂંટવા માટે ભાજપ જવાબદાર છે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે ગુજરાતની જનતા પણ એ જ સમસ્યાઓનો સામનો કરી રહી છે જે 2022ની ચૂંટણી પહેલા પંજાબના લોકોએ પણ સહન કરી છે. તેમણે કહ્યુ કે ગુજરાત ખૂબ જ ગંભીર કૃષિ સંકટનો સામનો કરી રહ્યુ છે, શાળાઓ અને હૉસ્પિટલોની હાલત ખરાબ છે અને રસ્તાઓની હાલત ખરાબ છે. 2022ની ચૂંટણી પહેલા પંજાબમાં પણ આવી જ સ્થિતિ હતી. ભગવંત માને કહ્યુ કે જો આમ આદમી પાર્ટી (AAP) સરકાર સત્તામાં આવશે તો જ પરિસ્થિતિ બદલાઈ શકે છે.
પંજાબમાં આમ આદમી સરકારની બેજોડ પહેલની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે 1 જુલાઈથી પંજાબ સરકાર દરેક બિલ પર લોકોને 300 યુનિટ વીજળી મફતમાં આપી રહી છે. તેમણે કહ્યુ કે આના પરિણામે કુલ 72.66 લાખમાંથી લગભગ 50 લાખ પરિવારોને સપ્ટેમ્બર મહિના માટે શૂન્ય વીજળી બિલ મળ્યુ છે, જે કુલ સંખ્યાના 68.81 ટકા છે. ભગવંત માને કહ્યુ કે છેલ્લા છ મહિનામાં અત્યાર સુધીમાં 17 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી માને વધુમાં જણાવ્યુ હતુ કે તેમની સરકાર નોકરીઓમાં દમનકારી કરાર પદ્ધતિની વિરુદ્ધ છે, જેના કારણે રાજ્યમાં 30,000થી વધુ કરાર આધારિત કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભગવંત માને કહ્યુ કે તેમણે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરી છે, જેની મદદથી ભ્રષ્ટાચારમાં સામેલ તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે. તેમણે કહ્યુ કે માત્ર એક પ્રામાણિક સરકાર જ આવી અનોખી અને જન હિતકારી પહેલ કરી શકે છે.
મુખ્યમંત્રી માને કહ્યુ કે રાજ્ય સરકારે નિરાધાર પશુઓની સમસ્યાને વધુ સારી રીતે ઉકેલવા માટે ગૌ સેવા આયોગને વધુ મજબૂત બનાવ્યો છે. તેમણે કહ્યુ કે એક તરફ તેનો ઉદ્દેશ્ય અકસ્માતોમાં નિરાધાર પ્રાણીઓના જીવ બચાવવાનો છે, તો બીજી તરફ તે ગાયોની સંભાળ સુનિશ્ચિત કરવાનો છે. ભગવંત માને કહ્યુ કે ગાયોના કલ્યાણ માટે ગાય સેસનો તર્કસંગત ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે.