ગુજરાતના વિદ્યાર્થી રાજકારણમાં ભડકો લગાવશે 'આપ'
અમદાવાદ, 31 માર્ચ : આગામી લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટી 'આપ' ગુજરાતમાં વિદ્યાર્થી પાંખ શરૂ કરીને પોતાનું અસ્તિત્વ વધારે મજબૂત કરવાની દિશામાં કામ આગળ વધી રહી છે. ગુજરાતમાં મર્યાદિત બની રહેલા સ્ટુડન્ટ પોલિટિક્સમાં 'આપ'ની વિદ્યાર્થી પાંખ ભડકો લગાવી શકે છે.
'આપ'ની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતી (સીવાયએસએસ) દિલ્હીમાં કાર્યરત છે. ગુજરાતમાં આ પાંખની સમિતીઓની રચના કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતી પોતાની કામગીરી શરૂ કરશે.
'આપ'ના પ્રાદેશિક પ્રવક્તા હર્ષિલ નાયકે જણાવ્યું કે આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. 'આપ'ના પ્રાદેશિક કન્વેયર સુખદેવ પટેલ તેને એક રાજકીય પગલું ગણાવીને યુવાનોને શિક્ષણતંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે તૈયાર કરવાની એક પ્રક્રિયા ગણાવે છે.
યુનિવર્સિટીમાં ચૂંટણી લડવા અંગે સુખદેવ પટેલે જણાવ્યું કે 'યુનિવર્સિટીની ચૂંટણી લડવી એક સારો અનુભવ રહેશે. તેને આકરું ના કહી શકાય. અમને જરૂર જણાશે તો અમે ચોક્કસથી ચૂંટણી લડીશું. રાજ્યની 7 સરકારી યુનિવર્સિટીઓમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઇ) અને ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નું વર્ચસ્વ છે. ત્યારે ચૂંટણી લડવી પડકારજનક ચોક્કસ છે.'
'આપ'ના યુવા કાર્યકર જિજ્ઞેશ મેવાણીનું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ એનએસયુઆઇ કે એબીવીપીમાં જોડાવા માંગતા નથી તેમના માટે હવે સીવાયએસએસ નવો વિકલ્પ બન્યો છે.
'આપ'ના આ નિર્ણયથી કોંગ્રેસ અને ભાજપની વિદ્યાર્થી પાંખના વડાઓ ભયભીત નથી. તેમનું માનવું છે કે સ્ટુડન્ટ પોલિટિક્સમાં તેમણે સારું કામ કર્યું હોવાથી તેમને કોઇ જોખમ નથી. સ્ટુડન્ટ પોલિટિક્સ ધારીએ એટલું સરળ નથી.