ઉનાના દલિત પ્રકરણમાં AAP નેતાએ રાજકીય રંગ ઉમેરતા વિવાદ
ચમાર સમાજનાં એક જ પરિવારનાં 6 યુવાનો, અન્ય એક યુવાન તથા મહિલા સહિત સાત લોકો બેડીયા ગામેથી એક પશુનો મૃતદેહ લઇ તેનું ચામડું ઉતારતા હતા. ત્યારે ગૌરક્ષકોનાં નામે એક ગાડીમાં આવેલા છ થી વધુ શખ્સોએ પાઇપ, લાકડી વગેરેથી માર મારી ગાડી પાછળ બાંધીને ઉનામાં જાહેર ફેરવ્યા હતા.
આ બાબતોનો વીડિયો ગુજરાત ભરમાં વાયરલ થયો હતો આ બનાવનાં પગલે દલિત સમાજનાં આગેવાનો દોડી આવ્યા હતા. અને ઘાયલ યુવાનો પૈકી પિતા-પુત્રની હાલત ગંભીર જણાતા ગુસ્સે થયેલા દલિત સમાજનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ મુદ્દે દલિત મહિલાઓએ છાજિયા લીધા હતા. આ ઘટનામાં પોલીસે સામતેરનાં રમેશ ભગવાન જાદવ, ભીમપરાનાં રાકેશ રસીક જોષી, બેડીયાનાં નાગજી ડાયા આહિરની અટક કરી હતી, જ્યારે અન્ય મુખ્ય ત્રણ આરોપી ફરાર છે. ડીવાયએસપીએ આરોપીઓને સજા કરવાની હૈયાધારણ આપી હતી.
ત્યારે હવે આ બાબતે વિવાદ વધતા રાજનેતાઓ પણ આ મામલે લોકોને મળવા પહોંચ્યા હતા. જેમાં ઉનાની ઘટના સંદર્ભે આપના મહિલા નેતાની ટીપ્પણીએ વિવાદ ઊભો કર્યો છે. ગુરુવારે સાંજે વેરાવળના 'આપ'નાં મહિલા નેતા સંગીતા ચાંદપા ઉનાની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે બ્રાહ્મણો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાબતે બ્રાહ્મણોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે.
ઉના આવેલા 'આપ'નાં નેતા સંગીતાએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે "આટલી બધી ગાયો રખડી રહી છે, શેરીએ શેરીએ ગાયો રખડે છે. અત્યારે ગાયોને ખાવા માટે ઘાસ પણ નથી મળતું,, ગાયો કચરો ખાય છે. ત્યારે બધા ક્યાં જાય છે? ગાયોમાં 33 કરોડ દેવતા રહેલા છે તેવું સાબિત થઈ ગયું છે, તો તમે લોકો ગાયોને રાખો, તેનું રક્ષણ કરો...જે લોકો ગાયોના રક્ષણ માટે બૂમો પાડે છે તેમણે કેટલી ગાયો પાળેલી છે અને રક્ષણ કરેલું છે? આ બધા *** બ્રાહ્મણો છે. હું ખુલ્લેઆમ કહું છું કે, આ બધા જેટલા છે તે *** બ્રાહ્મણો જ છે."
ત્યારે આવા અપશબ્દોના ઉપયોગ બાદ બ્રાહ્મણ સમાજે પણ આવી ટિપ્પણ પર વિરોધ નોંધાવ્યો છે. જે દેખતા આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ વકરે અને રાજકીય રંગ પકડે તેવું લાગી રહ્યું છે.