સાવરકુંડલામાં બેકાબુ ટ્રકે 8ના ભોગ લીધા, મુખ્યમંત્રીએ 4 લાખની સહાયની ઘોષણા કરી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં 8 લોકોના મોત નીપજ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં 8 લોકોના મોત નીપજ્યા છે અને 4થી વધુ લોકોની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે અને મૃતકના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરી છે.
તમને જણાવી દઈએ કે ગઈ કાલે મોડી રાતે લગભગ 3 વાગ્યા આસપાસ સાવરકુંડલાના બાઢડા ગામ નજીક રસ્તા પાસે ઝૂંપડામાં લોકો સૂઈ રહ્યા હતા એ દરમિયાન એક ટ્રક બેકાબુ બનીને તેમના પર ચડી ગયુ હતુ. આ ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે 4થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલિસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આ ટ્રક મહુવા તરફ જઈ રહી હતી. રાતે અચાનક ડ્રાઈવરે ટ્રક પરનો કાબુ ગુમાવતા ટ્રક સીધી ઝૂંપડાઓ તરફ ધસી ગઈ અને 8 ફૂટ ઉંડા ખાડામાં પડી ગઈ હતી. આ દરમિયાન ટ્રક રસ્તાની બાજુએ આવેલા ઝૂંપડાઓમાં રહેતા લોકો પર ચડી જતા 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. વળી, અન્ય 12 લોકોને પણ ઈજાઓ થઈ છે.
ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે. વળી, તેમણે મૃતકોના પરિવારને સાંત્વના આપી છે અને પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે અમેરેલીના કલેક્ટરને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021