Ahmedabad : નારોલમાં ઝેરી ગેસ ગળતરની ઘટનામાં 2 કર્મચારીઓના મોત
Ahmedabad : અમદાવાદમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં વધુ એક વખત ગેસ ગળતરની ઘટના બની છે. આ ગેસ ગળતરની ઘટનામાં ફેક્ટરીના બે કર્મચારીઓના મોત થયા છે અને 7થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
અમદાવાદના નારોલ ઈન્સ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં બનેલી આ ઘટનામાં બે લોકના મોત થયા છે અને જે સાતથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તે લોકોને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા છે. સાતમાંથી ચાર લોકોની હાલત હાલ ગંભીર છે.

નારોલ સ્થિત દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં કેમિકલ લીક થયુ હતુ, જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ ગળતરની અસર થઈ હતી. ઘટના બનતાની સાથે 108 એમ્બુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઘાયલ થયેલા કર્મચારીઓને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ઈમરજન્સી ટીમ ફેક્ટરી ખાતે પહોંચી હતી અને ગેસ લિકેજ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે ફાયર બ્રિગેડની સાથે જ GPCB, પોલીસ સહિતનો કાફલો ફેક્ટરી ખાતે પહોંચ્યો હતો.
ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડમાં સવારે ગેસ ગળતર થયુ હતું, ફેક્ટરીમાં સલ્ફ્યુરિક એસિડ કામમાં લેવામાં આવતું હતુ ત્યારે આ ઘટના બની હતી.
સ્લફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થઈ રહ્યું હતુ ત્યારે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે તેનું રિએક્શન થયું હતું અને ત્યારબાદ ગેસ લિકેજની ઘટના બની હતી.
આ સમયે કંપનીમાં કામ કરતા નવ લોકો બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે મણિનગર સ્થિત LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવમાંથી હોસ્પિટલના ડૉક્ટરે બે કર્મચારીઓને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણકારી મળતા ડિવિઝન ફાયર ઓફિસર અને સ્ટેશન ફાયર ઓફિસર ફેક્ટરી પહોંચ્યા હતા અને ગેસ ગળતર બંઘ કરાવ્યુ હતુ.
મૃતકના પરિવારના લોકોએ આક્ષેપ કર્યો છે કે ફેક્ટરીમાં કર્મચારીઓને સેફ્ટીના સાધનો પૂરા પાડવામાં આવતા નથી અને ફેક્ટરીના માલિકો દ્વારા કોઈ સલામાતીના ધોરણો મુજબ કામ કરાવવામાં આવતુ નથી.












Click it and Unblock the Notifications
