અમદાવાદ ફાયર વિભાગે 11 વર્ષમાં સાબરમતી નદીમાંથી 500થી વધુ લોકોના જીવ બચાવ્યા
અમદાવાદ ફાયર વિભાગ (Ahmedabad Fire Department) છેલ્લા 11 વર્ષથી સેવાનો પર્યાય બન્યો છે. તાજેતરમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ (World Suicide Prevention Day) પર ફાયર વિભાગની અસાધારણ કામગીરી પ્રકાશિત થઈ.
અમદાવાદના ઇન્દિરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના સાબરમતી નદીના પટમાં, ફાયર વિભાગના બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

આત્મહત્યા જેવી દુ:ખદ ઘટનાને અટકાવવા માટે ફાયર વિભાગે માત્ર જીવ બચાવ્યા જ નથી, પરંતુ લોકોને નવજીવન પણ આપ્યું છે.
અમદાવાદ ફાયર વિભાગના ચીફ ઓફિસર અમિતભાઈ ડોંગરેએ જણાવ્યું કે, જવાનો તાત્કાલિક પ્રતિસાદ આપે છે અને કોઈપણ રીતે, પછી તે પાણીમાં કૂદીને હોય, દોરડા કે બોટની મદદથી હોય, કે પછી અન્ય ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને, જીવન બચાવવા માટે સતત પ્રયાસ કરે છે. તેમની તાલીમ, ચપળતા, અને માનવતાની ભાવના સેંકડો જીવ બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ફાયર વિભાગ માત્ર તાત્કાલિક સેવાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરે છે. ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ અપીલ કરતાં જણાવ્યું કે, આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી, જીવન અમૂલ્ય છે. મુશ્કેલીમાં ક્યારેય એકલા ન રહેવું, મદદ માંગવી, અને જીવન પ્રત્યે વિશ્વાસ રાખવો.
રિવર રેસ્ક્યૂ ટીમના સભ્ય ભરત માંગેલાએ જણાવ્યું કે, તેમની ટીમ સતત નદી કિનારે કે બ્રિજ પર આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા લોકોનું કાઉન્સેલિંગ કરે છે અને પરિવારજનોને જાણ કરે છે. આ પ્રયાસો માત્ર એક વ્યક્તિને બચાવતા નથી, પરંતુ આખા પરિવારને દુઃખમાંથી બહાર લાવે છે.












Click it and Unblock the Notifications
