ભારતીય એરપોર્ટ્સમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નંબર વન
અમદાવાદ, 11 સપ્ટેમ્બર : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) સંચાલિત દેશના 11 એરપોર્ટ્સ અંગે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ નંબર વનના સ્થાન પર રહ્યું હતું. આ સર્વેક્ષણમાં યાત્રીઓને પુરી પાડવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં લેવામાં આવી હતી.
એરપોર્ટ કાઉન્સિલ દ્વારા અમદાવાદ ઉપરાંત દેશના અન્ય એરપોર્ટ્સ કોલકત્તા, જયપુર, ગોવા, પુના, લખનૌ, શ્રીનગર, કાલીકટ, ગુવાહાટી, ચેન્નાઇ, ત્રિવેન્દ્રમનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ સર્વિસ ક્વૉલિટી (એએસક્યૂ) દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર દેશના અન્ય એરપોર્ટની સરખામણીએ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીને ઉત્તમ ગણાવવામાં આવી હતી. અહીં મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સિનિયર સિટિઝનો માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રીઓ માટે સ્વાસ્થ્ય સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સર્વેમાં યાત્રીઓ પાસેથી પણ વ્યક્તિગત અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. સર્વેના તારણો અનુસાર યાત્રીઓને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં દેશના 11 એરપોર્ટ્સમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રથમ ક્રમે છે.
આ સર્વેમાં બીજા સ્થાન પર ગુવાહાટી, લખનૌ અને શ્રીનગર એરપોર્ટ્સ છે. અમદાવાદના એરપોર્ટને સિંગાપુરના ચાંગી એરપોર્ટ જેવું બનાવવામાં આવ્યું છે. અહીં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે.