Ahmedabad plane crash : મૃતકના પરિવારે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના તપાસ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા
Ahmedabad plane crash : 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત બની હતી. આ દુર્ઘટનામાં કુલ 242 યાત્રીઓમાંથી 241 માર્યા ગયા હતા.
આ દુર્ઘટનામાં અમદાવાદના 19 વર્ષીય વિદ્યાર્થી સંકેત ગોસ્વામી પણ સામેલ હતો, જે લંડનમાં ભણવા જઈ રહ્યો હતો.

હવે સંકેતના પિતા અતુલ ગોસ્વામીએ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને તે ફરીથી સખત અને ઊંડાણભરી તપાસ કરવાની માગ ઉઠાવી છે. તેમનું કહેવું છે કે તે હાલ સુધી પણ આ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી અને જાહેર કરાયેલ તપાસ રિપોર્ટથી સંતોષી શકાય તેમ નથી.
મીડિયા સાથે વાત કરતા અતુલ ગોસ્વામીએ કહ્યું કે, મારો પુત્ર માત્ર 19 વર્ષનો હતો. પરિવારનો સંપૂર્ણ આધાર તે જ હતો. તે ભણવા માટે લંડન જતો હતો, પરંતુ હવે આખું જીવન ખાલી લાગે છે. રિપોર્ટમાં સાચી વિગતો જણાતી નથી. અમારી માગ છે કે સરકાર સંપૂર્ણપણે ફરી તપાસ કરે અને જે લોકો જવાબદાર હોય તેમના વિરુદ્ધ કડક પગલાં લે.
એર ઇન્ડિયાની ફ્લાઈટ AI171 અમદાવાદથી લંડન માટે ઉડી ત્યારે માત્ર 90 સેકન્ડમાં વિમાના બંને એન્જિન બંધ થઈ ગયા હતા. ફ્લાઈટ ડેટા રેકોર્ડર અનુસાર, એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ RUN સ્થિતીમાંથી CUTOFF પર ગયા હતા અને માત્ર એક સેકન્ડમાં આ બદલાવ થયો હતો. પાઇલટ વચ્ચે સંવાદ પણ નોંધાયો છે.
અહીં પ્રશ્ન ઊભો થાય છે કે એન્જિન આપમેળે કેમ બંધ થયા? Ram Air Turbine (RAT) ચાલુ થઈ હતી, પાઇલટે એન્જિન ફરી શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ બીજું એન્જિન પુરી રીતે રિસ્પોન્ડ ન કર્યુ. અંતે MAYDAY કોલ મોકલવામાં આવ્યો પણ વિમાન BJ મેડિકલ કોલેજના હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું.
સંકેતના પિતાની જેમ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અનેક પરિવારો સરકારને આવી દુર્ઘટનાઓના સચોટ જવાબ આપવા માટે દબાણ કરી રહ્યા છે. તેઓ તપાસ ફરીથી થાય એ માટે માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
