ઘાટલોડિયા સિનિયર સીટીઝન મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, જમાઈ જ જમ નીકળ્યો
અમદાવાદના ઘાટલોડિયામાં સિનિયર સીટીઝન મર્ડર કેસનો ભેદ ઉકેલાયો, જમાઈ જ જમ નીકળ્યો. વિગતવાર વાંચો અહીં.
અમદાવાદ: ઘાટલોડિયા કર્મચારીનગરમાં રહેતા રંભાબેન પટેલ નામની 80 વર્ષીય મહિલાના મોત ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. અને રંભાબેનની હત્યા ની સોપારી આપનાર તેમના જમાઈ રમેશ પટેલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે રમેશ પટેલને રૂપિયા 40 લાખનું દેવું થઈ જતા તેણે મૃતક પાસે પૈસાની માંગણી કરી હતી પણ રંભાબેને પૈસા આપવાની ના પાડતા તેણે આખરે તેના એક મિત્ર સાથે મળીને તેના સાસુ રંભાબેનની હત્યાનો પ્લાન કર્યો હતો અને જે મુજબ ગત 21મી તારીખે એક માણસ મોકલી હત્યા કરાવી દીધી હતી. જેસીપી જે કે ભટ્ટે જણાવ્યું કે શરૂઆતની તપાસમાં જ નજીકના વ્યક્તિની સંડોવણી લાગતી હતી કારણકે મરનાર રંભાબેન ને સંતાનમાં કોઈ દીકરો નહોતો પણ 6 દીકરી હતી.
બીજી તરફ રંભાબેનના ઘાટલોડિયાના મકાનની કિમત 2 કરોડની આસપાસ ની હતી. આ ઉપરાંત તેમની પાસે દાગીના અને વતનમાં જમીન પણ હતી. મૃત્યુ પછી આ મિલકત તેમની દિકરીઓ સરખા ભાગે વેચી દેવા માટે તૈયારી રંભાબેન દ્વારા કરવામાં આવી હતી. પણ રંભાબેનની ત્રીજી દીકરી ઉષાના પતિ રમેશ ને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રેતીના અને મેડિકલ સ્ટોર ના ધંધામાં અંદાજે રૂપિયા 40 લાખનું નુકસાન થયું હતું. જેથી તે અવારનવાર રંભાબેન પાસે પૈસાની માંગણી કરતો હતો પણ રંભાબેને પૈસા આપવાની ના પાડી હતી કારણકે તેની બીજી દીકરીઓ ને આ મુદ્દે વાંધો થઈ શકે તેમ હતો. જેથી રમેશે મુંબઇ માં.રહેતા તેના એક મિત્ર ઇસિયાક ને આ બાબતે વાત કરી હતી કે જો રંભાબેનનું મોત થઈ જાય તો તેમની મિલકત બધી બહેનો વચ્ચે વહેંચણી થઈ જાય તેમ છે. જેથી ઇસિયાકે અમુક રકમની સોપારી લઈ રંભાબેનની હત્યા નો પ્લાન બનાવ્યો હતો. જે મુજબ તે કુરિયર બોય તરીકે આવીને હત્યા કરી નાસી ગયો હતો.