અમદાવાદ: નિકોલમાં પાટીદારોએ હાર્દિક પટેલનો કર્યો વિરોધ
અમદાવાદ: કેટલાક પાટીદારોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો.
હાર્દિક પટેલ હાલ તો સભાઓ ગજવવામાં વ્યસ્ત છે, તેમજ તેણે ટ્વિટ કરીને કોંગ્રેસને પણ ચેતવણી આપી દીધી છે કે કોંગ્રેસ પાટીદાર અનામત બાબતે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો, સુરતની રાહુલ ગાંધીની સભાના હાલ અમિત શાહ જેવા થશે. જો કે, કેટલાક પાટીદારો હવે હાર્દિકની સંતાકૂકડીથી કંટાળ્યા હોય તેમ તેમણે હાર્દિકનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે અમદાવાદ ખાતે આવેલા નિકોલ વિસ્તારમાં પાટીદારોએ હાર્દિકનો વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નિકોલ બાપુનગર વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રહે છે. તેમણે 'સમાજના ગદ્દારને જાકારો આપો' એ પ્રકારના પોસ્ટર્સ લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાકનો મત હતો કે, હાર્દિક તાજમાં રાહુલને મળ્યો કે બીજા કોઈને તેણે પોતાનો મત સ્પષ્ટ કરી દેવો જોઈએ. તો વળી કેટલાક પાટીદારોને હાર્દિકની કોંગ્રેસ નેતા સાથેની મુલાકાત યોગ્ય નથી લાગી. તેમનો મત હતો કે, હાર્દિકે આંદોલનનો ઉપયોગ રાજકારણમાં જવા કર્યો છે. પાટીદારોએ હાર્દિકના વિરોધમાં 'હાર્દિક હાય હાય'ના નારા પણ લગાવ્યા હતા.