પુત્રની સગાઇ માટે અમિત શાહ અમદાવાદમાં; મોદી હાજરી આપી શકે
અમદાવાદ, 7 જુલાઇ : ભારતીય જનતા પાર્ટી (ભાજપ -BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના ઇન ચાર્જ અમિત શાહ રવિવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમિત શાહ અમદાવાદ પહોંચતા જ ભાજપના કાર્યકરો અને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. જો કે અમિત શાહની આ મુલાકાત પાર્ટી માટે નહીં પરંતુ અંગત બાબત માટે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર અમિત શાહના પુત્ર જય શાહની સગાઇ આગામી 13 જુલાઇના રોજ થવાની છે. જેને પગલે તેઓ અમદાવાદ આવ્યા છે. નોંધનીય છે કે સગાઇ અંગેનું આમંત્રણ આપવા માટે અમિત શાહ જમાલપુરમાં આવેલા શ્રી જગન્નાથ મંદિર પણ પહોંચ્યા હતા. તેમણે મંદિરના મહંત દિલિપદાસજી મહારાજને સગાઇ સમારંભમાં હાજર રહી પુત્રને આશીર્વાદ આપવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે રવિવારે મંદિરમાં પૂજા પણ કરી હતી. આ અંગેની માહિતી મંદિરના મેનેજર મહેન્દ્ર ઝાએ આપી હતી.
માનવામાં આવે છે કે ભાજપે લોકસભા ચૂંટણીઓમાં કરેલા શાનદાર દેખાવને પગલે અમિત શાહનું કદ વધ્યું છે. આ કારણે તેમના ઘરે યોજવામાં આવનારા સામાજિક પ્રસંગમાં સામાજિક અને રાજકારણની નામી હસ્તિઓ ઉપસ્થિત રહેશે એવી ધારણે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં અમિત શાહની આગેવાનીમાં નરેન્દ્ર મોદીએ ભવ્ય વિજય મેળવ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પાર્ટી મોટી સંખ્યામાં બેઠકો જીતી ચૂકી છે ત્યારે નરેન્દ્ર મોદીની નજીક હોવાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં થોડા સમય માટે હાજરી આપશે એવી ધારણા છે.