આયુષ્માન કાર્ડના લાભાન્વિતોમાં ગુજરાત અવ્વલ, 6589 કરોડની સહાય ચુકવાઈ
ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧ કરોડ ૬૭ લાખ ૩૮ હજાર ૬૦૦ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.
ગાંધીનગર : આયુષ્યમાન ભારત યોજના ગુજરાતના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. સામે આવી રહેલા આંકડાઓ દર્શાવી રહ્યા છે કે ગુજરાતના દર્દીઓને આ યોજનાનો મોટો લાભ મળ્યો છે. આંકડા અનુસાર ગુજરાતના ૧.૬૭ કરોડ લાભાર્થીઓ આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવ્યો છે.
ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧ કરોડ ૬૭ લાખ ૩૮ હજાર ૬૦૦ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે. આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે.
ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડથી લાભાન્વિત કરવાના સધન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ જ આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે.
રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું આયોજન હાથ ધર્યું છે. તેમણે જણાવ્યુ કે, આવનારા સમયમાં આયુષ્માન યોજના અંતર્ગત મળતું ૫ લાખનું આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને ૧૦ લાખ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીની વાત કરીએ તો ગુજરાતમાં અંદાજીત ૩૪ લાખ જેટલા ક્લેમ આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. જ્યારે દાવા ચૂકવણીની રકમની દ્રષ્ટિએ ૬,૫૮૯ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
ગુજરાત સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના અને મા યોજનાનું સંકલન કરીને PMJAY માં યોજના અમલી બનાવી છે. જેના પરિણામે રાજ્યમાં આરોગ્ય વીમા કવચનો વ્યાપ પણ વધ્યો છે. હાલ ગુજરાતમાં ૧૯૭૪ સરકારી અને ૮૫૩ ખાનગી આમ કુલ ૨૮૨૭ જેટલી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ છે.