શું ગુજરાતના રિક્ષાવાળાઓને ધમકાવવામાં આવી રહ્યા છે? અમદાવાદના રિક્ષાચાલકે યુટર્ન માર્યા બાદ ઉઠ્યા સવાલ
અમદાવાદના રિક્ષાચાલકે યુટર્ન માર્યા બાદ સવાલ ઉઠી રહ્યા છે કે શું ગુજરાતમાં રિક્ષાવાળાઓને ધમકાવવામાં આવી રહ્યા છે?
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થોડા દિવસો અગાઉ અમદાવાદના ટાઉનહોલ ખાતે રિક્ષાચાલકો સાથેની બેઠકમાં વિક્રમ દંતાણી નામના રિક્ષાવાળાએ પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. આ રીક્ષાચાલકે યુટર્ન મારીને શુક્રવારે કહ્યુ હતુ કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફેન છે અને ભાજપનો કટ્ટર સમર્થક છે. દંતાણી શુક્રવારે થલતેજમાં પીએમ મોદીની એક સાર્વજનિક રેલીમાં ભગવો રંગ ધારણ કરેલો દેખાયો. આ સમગ્ર ઘટનાક્રમમાં હવે સવાલો ઉઠવા લાગ્યા છે કે શું ગુજરાતમાં રીક્ષાચાલકોને ધમકાવવામાં આવી રહ્યા છે?
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલની ટાઉનહૉલ ખાતેની સભામાં ગયેલા રિક્ષાવાળાઓને ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં દર્શાવ્યા મુજબ ભાજપ કૉર્પોરેટરે એક રિક્ષાવાળાને ધમકી આપી હતી કે, 'કેજરીવાલને સપોર્ટ કરવાનુ હવે બંધ કરી દેજો નહિતર રિક્ષાઓ જપ્ત થઈ જશે. કૉર્પોરેટરે ધમકી આપી હતી કે ધંધો કરવાનો હોય તો સમજાવી દેજે તારાવાળાને. હવેથી જો કેજરીવાલને સપોર્ટ કર્યો કે આપના પોસ્ટર રિક્ષા પર લગાવ્યા તો સાંજે રિક્ષા જમા થઈ જશે.' આ વીડિયો બાદ હવે કાલની ઘટનામાં વિક્રમ દંતાણીએ અચાનક મારેલા પલટાથી લોકોમાં ચર્ચાએ વેગ પક્ડયુ છે કે ભાજપે તેને ડરાવી-ધમકાવીને ભગવો ધારણ કરાવ્યો છે.
તમને જણાવી દઈએ કે વિક્રમ દંતાણીએ મીડિયાને જણાવ્યુ હતુ કે તેણે અમદાવાદના ટાઉનહૉલમાં 13 સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીની બેઠક દરમિયાન કેજરીવાલને પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા કારણકે તેને ઑટોરિક્ષા યુનિયનના નેતાઓએ આમ કરવા માટે કહ્યુ હતુ. તમને જણાવી દઈએ કે જ્યારે આપના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ બેઠકમાં ડિનરનુ નિમંત્રણ સ્વીકાર્યા બાદ રિક્ષામાં બેસીને દંતાણીના ઘરે ગયા હતા. દંતાણીએ કહ્યુ કે, 'મે તેમના મારા ઘરે ભોજનનુ આમંત્રણ આપ્યુ, કેજરીવાલે તેને સ્વીકારી લીધુ, મને ખબર નહોતી કે આ આટલો મોટો મુદ્દો બની જશે, હું પક્ષ(આપ) સાથે બિલકુલ પણ જોડાયેલો નતી. હું એ ઘટના બાદ આપના કોઈ નેતાના સંપર્કમાં પણ નથી. હું પ્રધાનમંત્રી મોદીનો મોટો પ્રશંસક છુ અને મે હંમેશા ભાજપને વોટ આપ્યો છે.'
દંતાણીએ વધુમાં કહ્યુ હતુ, 'હું અહી(રેલી માટે) આવ્યો છુ કારણકે હું મોદીજીનો બહુ મોટો પ્રશંસક છુ. હું શરુઆતથી જ ભાજપ સાથે રહ્યો છુ અને મે હંમેશા મારો વોટ ભાજપને આપ્યો છે. હું અહીં કોઈના દબાણમાં કંઈ નથી કહી રહ્યો.' ઉલ્લેખનીય છે કે આ વર્ષને અંતે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આપના અભિયાન હેઠેળ કેજરીવાલે 13 સપ્ટેમ્બરે અહીં ઑટોરિક્ષા ચાલકો સાથે ટાઉનહૉલમાં બેઠક કરી હતી. વાતચીત દરમિાયન દંતાણીએ કેજરીવાલને પોતાના ઘરે ડિનર માટે આવવાનો આગ્રહ કર્યો હતો અને આ પ્રસ્તાવને દિલ્લીના મુખ્યમંત્રીએ તરત જ સ્વીકારી લીધુ હતુ.