ગુજરાત ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે કર્યા મોટા એલાન - ખેડૂતોને બે લાખ સુધીની લોન માફ
AAP સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા. શુક્રવારે(2 સપ્ટેમ્બર) તેમણે ગુજરાતના દ્વારકામાં એક જાહેર સભાને સંબોધી હતી.
દ્વારકાઃ AAP સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા. શુક્રવારે(2 સપ્ટેમ્બર) તેમણે ગુજરાતના દ્વારકામાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન સીએમ કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં સરકાર બન્યાના ત્રણ મહિના પછી ઝીરો વીજળી બિલ આવશે અને તમામ જૂના બિલ માફ કરવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. જાહેર સભા દરમિયાન દિલ્લીના સીએમએ ગુજરાતના ખેડૂતો માટે 6 ગેરંટીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ, 'પ્રથમ ગેરંટી, જો ખેડૂત એમએસપી પર પાક વેચવા માંગે છે, તો સરકાર તેને ખરીદશે. 5 પાક (ઘઉં, ચોખા, ચણા, કપાસ અને મગફળી)થી શરૂઆત કરીશુ, પછી ધીમે ધીમે તેને વધારીશુ.'
ખેડૂતોને દિવસના 12 કલાક વીજળીઃ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યુ, 'બીજી ગેરંટી, ખેડૂતોને ખેતી માટે દિવસના 12 કલાક વીજળી આપશે. ત્રીજી ગેરંટી, જમીનોના તમામ જૂના સર્વે રદ કરવામાં આવશે, ખેડૂતો સાથે નવો સર્વે કરવામાં આવશે. ચોથી ગેરેન્ટી, પાક નિષ્ફળ જવા પર એકર દીઠ 20 હજાર રૂપિયાની ગેરંટી આપવામાં આવશે. પાંચમી ગેરંટી, નર્મદા ડેમના કમાન્ડ એરિયામાં દરેક ખૂણે પાણી પહોંચાડશે. છઠ્ઠી ગેરંટી, ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે.'
શ્રી કૃષ્ણનુ મફત વીજળીનુ વરદાનઃ AAP સંયોજક કેજરીવાલે કહ્યુ કે, 'દિલ્લીમાં 24 કલાક વીજળી પૂરી પાડવા છતાં પણ ઝીરો બિલ આવે છે. તે જાદુ નથી? મને શ્રી કૃષ્ણ તરફથી મફત વીજળીનું વરદાન મળ્યુ છે. મને આ જાદુ ભગવાન તરફથી વરદાન તરીકે મળ્યુ છે. આ લોકોએ 27 વર્ષમાં જે વિનાશ કર્યો છે, હવે ભગવાન સુદર્શન ચક્ર ચલાવીને આપ સરકાર ડિસેમ્બરમાં લાવશે. તેમની પાસે પોલીસ, CBI-EDની સત્તા છે, અમારી પાસે ભગવાન કૃષ્ણ છે.'
દિલ્લીના મુખ્યમંત્રીએ કહ્યુ કે તેલના ભાવ કેમ વધી રહ્યા છે? મધ્યપ્રદેશમાં તેમણે ધારાસભ્યને ખરીદીને સરકાર બનાવી. મહારાષ્ટ્રમાં પૈસા ફેંકીને સરકાર બનાવી. તેમણે આ કામ માટે 6300 કરોડ રૂપિયા રાખ્યા છે. તેલ પર ટેક્સ વધારીને, મોંઘવારી વધારીને આ લોકો ધારાસભ્યોને ખરીદી રહ્યા છે. અમે મોંઘવારી ઓછી કરીશુ.
10 લાખ સરકારી નોકરીઓનુ વચન: અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'જો સરકાર બનશે તો અમે 10 લાખ સરકારી નોકરીઓ ઉભી કરીશુ. અમે 10 લાખથી એક નોકરી ઓછી નહિ હોય. પેપરો લીક થઈ જાય છે પછી તે ફરીથી થતા જ નથી. સરકાર બન્યા પછી સરકારી પોસ્ટ પર પેપરો કરાવીને તમામ સરકારી જગ્યાઓ ભરીશુ અને પેપર લીકની તપાસ કરાવીશુ. 2015 પછી લીક થયેલા તમામ પેપરની તપાસ કરીને 10 વર્ષ માટે જેલમાં મોકલવામાં આવશે. ભલે તે ગમે તેટલો મોટો નેતા હોય, તેને જેલમાં મોકલવામાં આવશે.' તેમણે કહ્યું કે અમે દરેક યુવકને 3 હજાર રૂપિયાનુ બેરોજગારી ભથ્થુ આપીશુ.