'તપાસ પંચ મોદીને ના બોલાવતું હોય તો મને પણ ના બોલાવે'
તપાસપંચ સમક્ષ રૂબરૂ જુબાની આપવાના બદલે તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલાવવામાં આવે અથવા તો કોર્ટ કમિશન દ્વારા જૂબાની આફવાની સગવડ ઉભી કરવામાં આવે તેવી માંગણી કરતી અરજી આસારામે કરી છે, જે અંગેની પંચની સુનાવણી 23મી સુદી મુલત્વી રાખવામાં આવી છે.
આસારામે પોતાની અરજીમાં કહ્યું હતું કે, રમખાણોના કેસની તપાસ ચલાવનાર જસ્ટિસ નાણાવટી પંચ બિનપાયાદાર આક્ષેપોના કારણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ બોલાવતું ના હોય અને તેમને રાહત આપતું હોય તો પછી વાઘેલાબંધુઓના બેજવાબદાર આક્ષેપોના આધારે ત્રિવેદી પંચે મને પણ બોલાવવો ના જોઇએ અને મને પણ રાહત આપવી જોઇએ.
જસ્ટિસ ત્રિવેદી તપાસપંચે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇને જુબાની આપવા માટે હાજર રહેવા આજે 20 ઓક્ટોબરની મુદત આપી હતી, પરંતુ બન્ને પિતા-પુત્ર પંચ સમક્ષ ઉપસ્થિત રહ્યાં નહોતા, તેમજ તેમના વકિલ પણ કોઇ કારણ સબબ હાજર રહ્યાં નહોતા. આ દરમિયાન તેના વકિલ દ્વારા આપવામાં આવેલી એક અરજીની પંચ દ્વારા સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં એવું કારણ રજૂ કરવામા આવ્યું હતું કે, જો નારાયણ સાંઇને જુબાની આપવા માટે બોલાવવામાં આવે તો અસમાજિક તત્વો દ્વારા તેમના પર હુમલો થવાની શક્યતા છે.
અત્રે નોંધનીય છે કે રાણીપ ખાતે રહેતા વાઘેલા પરિવારના બે બાળકો દીપેશ અને અભિષેક સાબરમતી ખાતે આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા અને બન્ને બાળકો 3 જૂલાઇ 2008ના રોજ ગુમ થયા હતા અને 5મી જૂલાઇના રોજ તેમના મૃતદેહો મળી આવ્યાં હતા. આશ્રમ દ્વારા તાંત્રીક વિધિ માટે આ બન્ને બાળકોની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવી વાઘેલા બંધુઓએ ભૂખ હડતાળ કરી હતી. જેના કારણે સરકાર દ્વારા જસ્ટિસ ત્રિવેદી તપાસપંચની રચના કરી હતી.