પ્રજાસત્તાક દિવસે રાજભવનમાં એટ હૉમનું આયોજન કરાયુ
૭૫ માં પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમાં એટ હૉમ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રભક્તિના માહોલમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એટ હૉમમાં પધારેલા રાજ્યના આગેવાન નાગરિકોને સંબોધતાં કહ્યું કે, દેશની આઝાદી માટે જીવ ન્યોચ્છાવર કરનાર ક્રાંતિવીરો અને લોકતાંત્રિક વ્યવસ્થાના ઘડવૈયાઓના બહુમૂલ્ય યોગદાનને કારણે પ્રજાસત્તાક ભારત આજે વિશ્વના માનચિત્ર પર મજબૂતીથી ઉભો છે.

રાજ્યપાલે કહ્યું કે, અયોધ્યામાં માત્ર રામ જન્મભૂમિ મંદિર કે મૂર્તિની સ્થાપના નથી થઈ, ભારતના ગૌરવ અને પ્રતિષ્ઠાની સ્થાપના પણ થઈ છે. સ્વાભિમાન અને સાંસ્કૃતિક મૂલ્યોની પણ સ્થાપના થઈ છે. ભારતની આવનારી યુવા પેઢીમાં પ્રેરણાદાયી દિવ્ય ગુણોની પણ સ્થાપના થઈ છે. રામ એ સમસ્ત ભારતના પૂર્વજ હતા. રામનું જીવન આદર્શ હતું. મંદિર અને મૂર્તિની સ્થાપનાથી ભારતની આવનારી પેઢીનું જીવન રામ જેવું આદર્શ થશે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. ભારત આર્થિક રીતે તો સંપન્ન થાય જ સાથોસાથ દેશની યુવા પેઢીનું જીવન પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી સમૃદ્ધ-આદર્શ હોય એ જરૂરી છે. જ્યાં ભૌતિકતા સાથે આધ્યાત્મિકતા જોડાય ત્યાં આનંદ હોય. જ્યાં માત્ર અર્થતંત્રનો કે ભૌતિક વિકાસ હોય ત્યાં પૂર્ણ શાંતિ ન હોઈ શકે. સંપન્નતામાં અશાંતિ કે હતાશા હોઈ શકે, અભાવમાં પણ જીવનનો આનંદ હોય એ ભારતની આધ્યાત્મિકતા છે, સાંસ્કૃતિક વિરાસત છે. જ્યાં વિચાર સમૃદ્ધ હશે ત્યાં જ સમૃદ્ધિનો વિકાસ થશે. વિચાર અને વિકાસ સાથે જ ચાલે છે.
ભારત અને ભારતીયોમાંથી ગુલામીની માનસિકતા જડમૂળથી નષ્ટ કરવાનો અમૃતકાળનો સંકલ્પ છે, એમ કહીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે, વિશ્વમાં પણ ભારતના ગૌરવ અને ગરીમા વધ્યા છે ત્યારે આપણે સૌ ભારતીયો મહેનત અને પરિશ્રમથી પોતાના કર્તવ્યોનું પાલન કરીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક રાજ્યનું આયોજન હતું અને કેટલાય રાષ્ટ્રોના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમિટ દરમિયાન જે એમઓયુ થયા છે તેનાથી આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં અનેક ઉદ્યોગો સ્થપાશે. આ મૂડીરોકાણથી ગુજરાતે વિકસિત થવા માટે વર્ષ ૨૦૪૭ સુધી પ્રતીક્ષા નહીં કરવી પડે. આગામી પાંચ વર્ષમાં જ ગુજરાત વિકસિત ગુજરાત થઈ જશે. ગુજરાત સાચા અર્થમાં ભારતનું ગ્રોથ એન્જિન છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગુજરાત ભારતનું નેતૃત્વ કરશે.
પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગથી આપણા આહાર અશુદ્ધ થઈ ગયા છે, પરિણામે ગંભીર અને અસાધ્ય રોગો વધ્યા છે. પ્રાકૃતિક ખેતી ઘણી સમસ્યાઓનું સમાધાન છે. દરેક ફેમિલી એક પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત સાથે જોડાય અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનનો જ વાપરવાનો આગ્રહ રાખે એ વર્તમાન સમયની માંગ છે. જો ફેમિલી ફાર્મર હશે તો ફેમિલી ડૉક્ટરની જરૂર નહીં પડે.
રાજ્યમાં ૯ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમના પ્રતિનિધિરૂપે ગુજરાતના ત્રણ ખેડૂતોનું રાજભવનમાં સન્માન કરવામાં આવ્યું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગુણાતીતપુર ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત રતિલાલભાઈ વિઠ્ઠલદાસ શેઠીયા, અમરેલી જિલ્લાના લાઠી ગામના ખેડૂત કાલુભાઈ માસાભાઈ હુમલ અને દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકાના ભીનાર ગામના મનુભાઈ ભીખાભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ખેડૂતો વર્ષોથી પ્રાકૃતિક ખેતી તો કરે જ છે, સાથોસાથ અન્ય ખેડૂતોને પણ તાલીમ આપીને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
