ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
રોજે રોજ ગુજરાત માં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
આજે થશે જીતુ વાધાણીની તાજપોશી
આજે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાધાણીની તાજપોશી થવાની છે. પ્રેક્ષા વિશ્વ ભારતી સંકુલમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ સમેત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ત્યારે સવારે 9:30 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહને જીતુ વાધાણી તેમના નિવાસસ્થા મળ્યા હતા. અને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટમાં ટ્રાફિક જવાન અને કારચાલક વચ્ચે મારામારી
રાજકોટમા મવડી તાર રસ્તા પાસે ટ્રાફિક જવાન તથા કાર ચાલક વચ્ચે બબાલ થતા મામલો બિચક્યો હતો. ટ્રાફિક જવાને કાચલાકને ઉભો રહેવાનો ઇશારો કરતા કાચ પર લાકડી મારી હતી જેના કારણે કારનો કાચ ફૂટી ગયો હતો. આથી ગુસ્સે ભરાયેલા કાર ચાલકે બોલાચાલી શરૂ કરી હતી અને આ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. જોકે આ અંગે ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ ઘટનાને પગલો લોકોના ટોળેટોળા જામી ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.
જુગારની રેડમાં મળ્યો સરકારી ઉપમાનો જથ્થો
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારમાં જુગારીઓએ માઝા મૂકી છે ત્યારે પોલીસ ઠેર ઠેર છાપા પાડીને જુગારીઓને પકડી રહી છે જોકે તાજેતરમાં જ ધોરાજીના ફણેણી ગામે પોલીસ જુગારીઓ ઉપર રેડ કરવા ગઈ હતી ત્યારે પોલીસના આશ્ચર્યની વચ્ચે ઘટનાસ્થળે ગમાણમાંથી ગુજરાત સરકારનો બાળકો માટેના પોષ્ટિક આહારનો જથ્થો તરીકે ઉપમાના ગુણચા મળી આવ્યા હતા. કુપોષિત બાળકોને આપવા માટેનો આ જત્થો લગભગ 40 કિલો જેટલો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ધોરાજીમાં જ કચરામાંથી ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા.
શામળાજી ખાતે કાળિયા ઠાકરના મંદિરને ફૂલોના શણગાર
શામળાજી ખાતે કૃષ્ણ ભગવાન કાળિયા ઠાકુર તરીકે જાણીતા છે. ગઇ કાલે શ્રાવણી પૂર્ણિમા નિમિત્તે મંદિરમાં ગર્ભગૃહને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. શામળાજીની આસપાસન ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં આ દર્શન કર્યા હતા. ચોમાસાને કારણે શોમળાજી મંદિરની આસપાસ લીલોતરી છવાઈ ગઈ હોવાથી મંદિરની આસપાસનો માહોલ રમણીય લાગી રહ્યો હતો.
અમીરગઢમાં દીપડાનો માતા અને દીકરા પર હુમલો
અમીરગઢના બાલુન્દ્રા પાસે આવી ચઢેલા દીપડાએ માતા તથા દીકરા પર લોહિયાળ હુમલો કર્યો હતો. જે બાદ માતા તથા દીકરાને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાલુન્દ્રા ગામેથી જેસોર વનવિભાગના રેસ્ટ હાઉસ તરફ જતા માર્ગ પર આવેલા રહેણાંક વિસ્તારમાં ગુરૂવારની રાત્રે દીપડો ધસી આવ્યો હતો અને ઘરની બહાર બેઠેલા માતા-પુત્ર પર હુમલો કર્યો હતો.
દલિત યાત્રા કાઢનારે અમારી ખબર પણ ન પૂછી -પીડીત પરિવાર
ઉલ્લેખનીય છે કે ઉનામાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા દલિતો પર અત્યાચાર થયો હતો તેના વિરોધમાં દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ 31 જુલાઇએ અમદાવાદમાં વિશાળ સંમેલન પણ બોલાવ્યું હતું. બાદમાં અમદાવાદથી ઉના સુધીની દલિત અસ્મિતા યાત્રા પણ કાઢવામાં આવી હતી. પરંતુ ઉના સુધી આવ્યા છતાં તેણે દલિત ચમાર પરિવારના હાલચાલ સુદ્ધાં પૂછ્યા ન હોવાનો રોષ પીડિતોએ વ્યક્ત કર્યો છે. આ સંમેલનમાં પીડિત પરિવારનાં બાલુભાઇ સરવૈયા અને તેના 4 પુત્રો ઉપસ્થિત હોવા છતાં જીજ્ઞેશ મેવાણી પીડિતોને મળ્યા નહોતા. તે અંગેનો બળાપો પીડિત પરિવારોએ અગ્રણી અખબાર સમક્ષ ઠાલવ્યો હતો.
ત્રિનેતેશ્વર મહાદેવના કુંડમાં મૃતપાય માછલીઓ મળી
થાનગઢથી 10 કિલોમીટર દૂર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના ફરતે આવેલા પવિત્ર કુંડમાં ડુબકી મારવાનું અને સ્નાનનું અનેરૂ માહાત્મય છે. ઉલ્લેખનીય છેકે તરણેતરના આ કુંડમાં ગંગાજી પધારતા હોવાની લોકવાયકાને કારણે લાખો શ્રધ્ધાળુઓ શ્રાવણ માસ અને ભાદરવા માસના ઋષિપાંચમે સ્નાન કરતા હોય છે. ત્યારે આ પવિત્ર કુંડમાં ત્રણ-ચાર દિવસ થયા મૃત હાલતમાં માછલીઓ જોવા મળી રહ્યાં છે. જેના કારણે ત્યાં દર્શનાર્થે આવતા ભાવિકોમાં રોષ ફેલાઇ રહ્યો છે. જોકે માછલીઓના મોત પાછળ કુંડની અસ્વચ્છતા જવાબદાર હોય તેમ પ્રાથમિક નજરે લાગી રહ્યું છે.
કોડીનાર-ઉના હાઇવે પર ગાડી ખબકી પાણીમાં
ગીર સોમનાથ પાસે આવેલ કોડીનાર-ઉના હાઇવેથી બાવાના પીપળવા રોડ પર જઇ રહેલી એક અલ્ટોકારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ ઉપરથી નીચે ઉતારી, પાણીના નાળામાં પલટી પડી હતી. આ ધટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને પાસેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ડેપ્યુટી. સીએમની જાહેરાત ઇમ્પેક્ટ ફીની ડેડલાઇન લંબાઇ
ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે ઇમ્પેક્ટ ફીની ડેડલાઇન માર્ચ 2017 સુધી લંબાવાની જાહેરાત કરી છે. બિનઅધિકૃત બાંધકામને અધિકૃત બનાવવાની ફી તેવી ઇમ્પેક્ટ ફીની આ જાહેરાતથી લોકોને થોડી રાહત રહેશે તેવી આશા ઉપ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે.