Banaskantha Flood : મુખ્યમંત્રીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
Banaskantha Flood : બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામ અને વાવ સહિતના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી.
તેમણે અસરગ્રસ્ત ગામોમાં સ્થાનિકો સાથે સીધો સંવાદ કર્યો અને રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી. મુખ્યમંત્રી ગુરુવારે સુઈગામ પહોંચ્યા હતા અને પૂરથી પ્રભાવિત થયેલા નાગરિકોને મળ્યા.

તેમણે સુઈગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આશ્રય લઈ રહેલા લોકો સાથે વાતચીત કરી અને તેમને મળતી સુવિધાઓની જાણકારી મેળવી. તેમણે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં સરકાર તેમની પડખે ઊભી છે. આ ઉપરાંત તેમણે સુઈગામના પાણી ભરાયેલા વિસ્તારો અને જલોત્રા સબ-સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ વાવમાં રાત્રી રોકાણ કરીને સ્થાનિકો સાથે વાત કરી અને પરિસ્થિતિની વિગતો મેળવી. ત્યારબાદ સુઈગામ પ્રાંત અધિકારી કચેરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર રાહત કામગીરી સંભાળી રહેલા અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય પહોંચાડવા માટે કેટલાક મહત્ત્વના નિર્દેશો આપ્યા. તેમણે કહ્યું કે, અસરગ્રસ્તોને ગુરુવાર સાંજથી જ રોકડ સહાય (કેશ ડોલ્સ) ચૂકવવાનું શરૂ કરી દેવામાં આવે.
ઘરવખરી અને પશુધનના નુકસાન માટેની સહાય પણ નિયમ મુજબ ઝડપથી ચૂકવાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી. તેમણે સુઈગામ સહિતના સરહદી ગામોમાં તૂટી ગયેલી કનેક્ટિવિટીને ફરી સ્થાપિત કરવા માટે પ્રાથમિકતા આપવા જણાવ્યું.
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ભવિષ્યમાં આવા પૂરની પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે લાંબાગાળાના નિવારણ આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો.












Click it and Unblock the Notifications
