ગુજરાત ચૂંટણી: હાર્દિકમાં કોના DNA? ઊંધો પડ્યો BJPનો દાવ
હાર્દિકની આ કથિત સીડીઓ જ્યારે બહાર આવી ત્યારે કેટલાક પાટીદારો અને કોંગ્રેસ નેતાઓએ તેનો પક્ષ લીધો હતો. તે બાદ ડીએનએને લઇને વિવાદ વધુ વકરીયો હતો. આ અંગે વધુ વાંચો અહીં.
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. પાટીદાર નેતા હાર્દિક પટેલની કથિત સીડીઓ બહાર આવતાં વધુ ચકચાર જાગી છે. હાર્દિક પટેલે આ સીડી મામલે ભાજપ પર દોષ નાંખ્યો છે, તો ભાજપનું કહેવું છે કે આ સમગ્ર મામલા સાથે તેમને કોઇ લેવા-દેવા નથી. હાર્દિકની આ કથિત સીડીઓ જ્યારે બહાર આવી ત્યારે કેટલાક પાટીદારો અને કોંગ્રેસ નેતાઓએ તેનો પક્ષ લીધો હતો, જેમાંના એક હતા શક્તિસિંહ ગોહિલ. શક્તિસિંહ ગોહિલે આ મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, જે રીતે હાર્દિક પાટીદારોમાં એક લહેર ઉત્પન્ન કરવામાં સફળ રહ્યો છે, એને જોતાં કહી શકાય કે એનામાં સરદાર પટેલના ડીએનએ છે. શક્તિસિંહ ગોહિલના આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો, ઘણાંએ આને સરદાર પટેલનું અપમાન પણ ગણાવ્યું હતું.
હવે ત્યાર બાદ ભાજપના આઈટી સેલ હેડ અમિત માલવિયાએ એક એવું ટ્વીટ કર્યું છે, જેને કારણે મામલો વધુ ચર્ચિત બન્યો છે. તેમણે બુધવારે એક ટ્વીટ કર્યું હતું. તેમણે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની મહિલાઓ સાથેની કેટલીક તસવીર પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે કે, શક્તિસિંહ ગોહિલના દાવાની વિરુદ્ધ હાર્દિક પટેલમાં જવાહરલાલ નેહરૂના ડીએનએ હોય એમ લાગી રહ્યું છે. આ અંગે કોંગ્રેસ તરફથી તો હજુ સુધી કોઇ પ્રતિભાવ આપવામાં નથી આવ્યો, પરંતુ સોશ્યલ મીડિયા પર લોકોએ અમિત માલવિયાને ચારે બાજુથી ઘેર્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે જવાહરલાલ નેહરુની તસવીરોનો જે કોલાજ શેર કર્યો છે, એમાં પહેલી અને ત્રીજી તસવીરમાં તેમના બહેન વિજયલક્ષ્મી સેહગલ છે, પાંચમી તસવીરમાં મૃણાલિની સારાભાઇ અને નવમી તસવીરમાં તેમની ભત્રીજી નયનતારા સેહગલ છે. અન્ય તસવીરમાં તેઓ લેડી માઉન્ટબેટન સાથે જોવા મળે છે.
It seems Hardik has more of Nehru’s DNA, contrary to what @shaktisinhgohil claimed.. pic.twitter.com/YHzvbLOZwU
— Amit Malviya (@malviyamit) November 15, 2017