AAPને ભગવાન શ્રી કૃષ્ણના આશિર્વાદ, ભુપેન્દ્ર પટેલ કઠપુતળી : અરવિંદ કેજરીવાલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર ટકેલી છે. પીએમ મોદીનું હોમ સ્ટેટ હોવાના કારણે અહીં દરેક ચૂંટણી મહત્વની છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ બની રહ્ય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર ટકેલી છે. પીએમ મોદીનું હોમ સ્ટેટ હોવાના કારણે અહીં દરેક ચૂંટણી મહત્વની છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ બની રહ્યું છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ પર નિશાન સાધ્યું છે. મંગળવારે દેવભૂમિ દ્વારકા ખાતે ચૂંટણી સભાને સંબોધતા તેમણે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેની કઠપૂતળી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 'કઠપૂતળી મુખ્યમંત્રી' છે જે પોતાના પટાવાળાની નિમણૂક પણ કરી શકતા નથી. આ દરમિયાન કેજરીવાલે એમ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીને ભગવાન કૃષ્ણના આશીર્વાદ છે.
ગુજરાત માટે ફક્ત 2 વિકલ્પ
અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી માટે પ્રચાર કરતી વખતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુપ્ત સમજૂતી છે. તેમણે કહ્યું કે ગુજરાતની જનતાની સામે બે ચહેરા છે એક છે ઇસુદાન ગઢવી અને બીજો ભૂપેન્દ્ર પટેલ. તેથી તમે કોને મત આપો તે તમારા પર છે.
કેજરીવાલે ઇશુદાન ગઢવીને મત આપવા કરી અપીલ
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ગઢવી એક ખેડૂતના પુત્ર છે. તે એક યુવાન અને શિક્ષિત વ્યક્તિ છે જેનું હૃદય ગરીબો માટે ધબકે છે. આ દરમિયાન દિલ્હીના સીએમ કેજરીવાલે ઇસુદાન ગઢવીના પત્રકારત્વના દિવસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે તેઓ ટીવી પર એક શો હોસ્ટ કરતા હતા ત્યારે તેમણે ખેડૂતોના મુદ્દા ઉઠાવ્યા હતા. તેઓ 'તુ-તુ-મેં-મૈં'માં સામેલ નહોતા થયા. તેમણે ખેડૂતો માટે કામ કર્યું છે અને ખેડૂતો અને બેરોજગાર યુવાનો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
ભુપેન્દ્ર પટેલને ગણાવ્યા કઠપુતળી
ભાજપના ઉમેદવાર પર નિશાન સાધતા AAP કન્વીનરે કહ્યું કે, બીજી તરફ ભૂપેન્દ્ર પટેલ છે. સીએમ બન્યા પછી પણ તેમની પાસે સત્તા નથી. તેઓ 'કઠપૂતળી' મુખ્યમંત્રી છે. સ્થિતિ એવી છે કે તેઓ પોતાના પટાવાળાને જાતે બદલી પણ શકતા નથી. તે એક સારા અને ધાર્મિક વ્યક્તિ હોવા છતાં તેની વાત કોઈ સાંભળતું નથી.
અમિત શાહ પર સાધ્યુ નિશાન
AAP કન્વીનર કેજરીવાલે સોમવારે ખંભાળિયામાં યોજાયેલી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રેલી પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે ગૃહમંત્રીની રેલીમાં ખુરશીઓ ખાલી હતી. ખંભાળિયાના લોકોએ તેમની રેલીમાં હાજરી આપી ન હતી અને આજે હજારો લોકો અહીં આવ્યા છે.
ભાજપ - કોંગ્રેસ પર મિલીભગતનો આરોપ
કેજરીવાલે દાવો કર્યો હતો કે પહેલા લોકો પાસે બીજેપીને જડમૂળથી ઉખેડી નાખવાનો કોઈ વિકલ્પ નહોતો, પરંતુ હવે છે. કોંગ્રેસ અંદરથી ભાજપની સાથે છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે બીજેપી અને કોંગ્રેસના સંબંધોની તુલના લગ્ન પહેલા છુપાઈને મળતા છોકરા અને છોકરી સાથે કરી હતી. કેજરીવાલે કહ્યું કે જ્યારે તમે તેમને પૂછશો તો તેઓ કહેશે કે તેમની વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. એ જ રીતે તમે કોંગ્રેસ અને ભાજપને પૂછો તો તેઓ કહેશે કે અમારી વચ્ચે મિત્રતા સિવાય બીજું કંઈ નથી. હું તેમને કહું છું કે આટલું થયું, તેઓ હવે ખુલ્લા પડી ગયા છે.