મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ લોકોને મતદાન કરવા અપીલ કરી
1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે રાજ્યના 19 જિલ્લાઓની 89 વિધાનસભા બેઠકો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે.
ગાંધીનગર : 1 ડિસેમ્બર એટલે કે આવતીકાલે રાજ્યના 19 જિલ્લાઓની 89 વિધાનસભા બેઠકો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી થવા તમામ મતદારોને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ અપીલ કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 01 ડિસેમ્બરને ગુરૂવારના રોજ પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 14,382 મતદાન મથક સ્થળો પર કુલ 25,430 મતદાન મથકો ખાતે ચૂંટણી યોજાશે. લોકશાહીના આ અવસરમાં 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી સહભાગી થઈ શકશે. તમામ મતદારો મતદાનની આ નૈતિક જવાબદારીને સુપેરે નિભાવે તે માટે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ મતદાનનું મહત્વ સમજાવી મતની શક્તિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
મતદારોને અપીલ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું કે, લોકશાહીના આ પવિત્ર પર્વમાં મત આપવો તે આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે. મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે? તેમ માનવું જરા પણ વાજબી નથી. એક મતની કિંમત પાણીના એવા ટીપાં જેટલી છે, જે સમુદ્ર બનાવે છે. જો પાણીનું એક ટીંપુ વિચારે કે હું ના હોવ તો સમુદ્રને શું ફર્ક પડે અને આ રીતે બધાં જ પાણીનાં ટીપાં વિચારે તો સમુદ્ર જ ના રચાય. એટલે મત તો જરૂર આપવાનો.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, લોકશાહી એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે, માટે મત જરૂર આપજો. લોકશાહીના આ અવસરને આપણે બધાં પોત પોતાના મતની શક્તિનો ઉપયોગ કરીને ઉજવીએ.