સીએમ ભુપેન્દ્ર પટેલની ટીમ જાહેર, હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય સોંપાયુ!
લાંબા વિવાદો વચ્ચે ગુજરાતમાં નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટની જાહેરાત થઈ ગઈ છે.
લાંબા વિવાદો વચ્ચે ગુજરાતમાં નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટની જાહેરાત થઈ ગઈ છે. આ તમામ ઘટનાઓ વચ્ચે સૌથી મોટી વાત એ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને 27 મંત્રીઓમાંથી કોઈ પાસે સરકારમાં કામ કરવાનો કોઈ જ અનુભવ નથી. નવા મંત્રીઓની શપથવિધિ બાદ કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીઓને તેમના પોર્ટફોલિયો સોંપવામાં આવ્યા હતા.
સરકારના મહત્વના મંત્રાલયની વાત કરવામાં આવે તો, ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો હતો, અત્યારસુધી આ જવાબદારી પ્રદિપસિંહ જાડેજા સંભાળતા હતા, આ ઉપરાંત શિક્ષણ વિભાગની જવાબદારી પુર્વ ભાજપ ગુજરાત અધ્યક્ષ જીતુ વાઘાણીને સોંપવામાં આવી છે. જે અત્યારસુધી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સંભાળતા હતા. ત્યારબાદ વાત કરીએ નાણાં મંત્રીલયની તો, ઋષિકેશ પટેલને આરોગ્ય વિભાગની જવાબદારીઓ સોંપવામાં આવી છે. તે ઉપરાંત સૌથી મહત્વનું મનાતું નાણાં મંત્રાલય કનુભાઈ દેસાઇને આપવામાં આવ્યું છે.
તમામ મંત્રાલયોની વિગતે વાત કરીએ તો, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે સામાન્ય વહિવટ અને વહીવટી સુધારણા અને આયોજન વિભાગ, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા તમામ વિષયોની જવાબદારી રહેશે. આ સિવાય રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનું મંત્રાલય, જીતુ વાઘાણીને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક વિભાગની જવાબદારી સોંપાઈ છે. રૂષિકેશ પટેલને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની જવાબદારી આપવામાં આવી છે.
પૂર્ણેશ મોદીની વાત કરીએ તો તેમને, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડની જવાબદારી આપવામાં આવી છે. રાઘવજી પટેલને કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન, કનુભાઈ દેસાઈને નાણાં ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, કીરીટસિંહ રાણાને વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી વિભાગ, નરેશ પટેલને આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદિપસિંહ પરમારને સામાજીક ન્યાય અને અધિકારીતા, અર્જુનસિંહ ચૌહાણને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ આપવામાં આવ્યા છે.
આ તો વાત થઈ કેબિનેટ મંત્રીની, હવે રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ તો હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સિવાય રમત-ગમત, યુવક, સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષાનો સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગની જવાબદારી આપવામાં આવી છે. જગદીશ વિશ્વકર્માને કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલનો સ્વતંત્ર હવાલો, ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી વિભાગ આપવામાં આવ્યો છે.
બ્રીજેશ મેરજાની વાત કરીએ તો તેમને શ્રમ, રોજગાર, પંચાયતનો સ્વતંત્ર હવાલો, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસની જવાબદારી આપવામાં આવી છે. જીતુ ચૌધરીને કલ્પસર અને મત્સ્યોદ્યોગનો સ્વતંત્ર હવાલો, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મનીષાબેન વકીલને મહિલા અને બાળ કલ્યાણનો સ્વતંત્ર હવાલો તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ફાળવવામાં આવ્યુ છે.
આ સિવાયના મંત્રીઓમાં મુકેશ પટેલને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, નિમિષા સુથારને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ, અરવિંદ રૈયાણીને વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રાલય, કુબેર ડીંડોરને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો, કિર્તીસિંહ વાઘેલાને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમારને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો, આર. સી. મકવાણાને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, વિનોદ મોરડીયાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, દેવા માલમને પશુપાલન અને ગૌ સંવર્ધનની જવાબદારી આપવામાં આવી છે.