ઉત્તરાયણ નિમિત્તે રાજ્યવ્યાપી કરુણા અભિયાનનો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શરૂ કરાવ્યું કરુણા અભિયાન રાજ્યમાં ઉતરાણના તહેવાર દરમિયાન પક્ષીઓ ઘાયલ ન થાય એ માટેનું અભિયાન ઘાયલ થયેલ પશુ-પક્ષીઓને તુરંત સારવાર મળી રહે એ માટે કરી વ્યવસ્થા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી કરુણા અભિયાનનો પ્રારંભ કરાવતા કહ્યું કે, પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવ રક્ષાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા રૂપે આ અભિયાન શરૂ થયું છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આ અભિયાન અન્વયે રાજ્યમાં વન કર્મીઓ અને બિન-સરકારી સેવા સંસ્થાના મળીને 7 હજાર વ્યકિતઓ પક્ષીઓ અને અબોલ પશુ જીવોની સારવાર માટે કાર્યરત કરાયા છે. પશુપાલન વિભાગના અને વન વિભાગના 781 દવાખાના 469 પશુ ચિકિત્સકો આ કરુણા અભિયાનમાં સેવા આપશે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ઉત્તરાયણ દરમ્યાન ન થાય તે માટે તંત્ર પૂર્ણ પણે સજાગ છે અને આવા દોરાના વેચાણ સામે કાર્યવાહી પણ થઇ રહી છે. અંદાજે 6 લાખથી વધુના આવા દોરા પકડવામાં આવ્યા છે. રાજ્યમાં ઘાયલ પક્ષીઓને બચાવવા 661 ટુકડીઓ તેમજ કપાયેલા પતંગના દોરા ઉતારવા 576 ટુકડીઓ રાખવમાં આવી છે. તેમજ ઘાયલ પશુની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, એ માટે 1962 હેલ્પલાઈન કાર્યરત છે. તેના પર સંપર્ક કરવાથી તાત્કાલિક સારવાર મળી રહેશે. તેમણે ઉમેર્યું કે, ઉત્તરાયણનો આ તહેવાર કોઇ પક્ષી-પશુનો જીવ લેનારો ઘાતક ન બને તે માટે તંત્ર, સરકાર અને સૌ નાગરિકો જીવ દયા ભાવથી સહયોગી બને.