"નવજાતના મૃત્યુનું કારણ, રાજ્ય સરકારની ગુનાહિત ગેરજવાબદારી"
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલની પત્રકાર પરિષદ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા નવજાત બાળકોના મૃત્યમાં ગુજરાત સરકારની બેદરકારીની વાત કરી. આ અંગે વધુ વાંચો અહીં.
અમદાવાદની સિવિલ હોસ્ટિપલમાં 3 દિવસની અંદર 18 નવજાત શિશુઓનાં થયેલ મૃત્યુ મામલે મંગળવારે કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે પત્રકાર પરિષદમાં ભાજપ અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ભાજપ સરદાર સાહેબનું અપમાન કરે છે. કેટલાક ઠીંગણા લોકો સરદારના નામનો રાજકારણીય ઉપયોગ કરે છે અને વામણી વાતો કરે છે. સરદાર પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે.' સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોના થયેલ મૃત્યુ મામલે તેમણે કહ્યું હતું કે, 'ભાજપ સરકાર બિલકુલ સંવેદનશીલ નથી. CAG ના અહેવાલમાં ક્ષતિઓ સામે આવી હતી. CAG ના કહેવા છતાં સરકારે સુધારા નહોતા કર્યા. આ મામલે રાજ્ય સરકારને ક્લિનચીટ આપવાની પેરવી થઇ છે અને એ પણ એક ગુનો છે. રાજ્ય સરકારની ગુનાહિત ગેરજવાબદારીને કારણે નવજાત શિશુઓનું મૃત્યુ થયું છે. તપાસમાં અનેક ખામીઓ છે, પરંતુ હું આ પત્રકાર પરિષદમાં માત્ર નાના બાળકોના મૃત્યુના મામલે જ વાત કરીશ.'
CCTV કેમેરા
'નાના શિશુઓને 24 કલાક મોનિટરિંગની જરૂર હોય છે, આ માટે સીસીટીવી કેમેરા મુકવા જરૂરી છે. 18 ડિસેમ્બર, 2013ના અહેવાલો બાદથી હોસ્પિટલમાં સીસીટીવી મુકાવવાની વાત હતી, પરંતુ હજુ સુધી કેમેરા લાગ્યા નથી. મારી માહિતી પ્રમાણે અત્યારે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક કેમેરા મુકાવવાની દોડધામ થઇ રહી છે અને આ પ્રેસ પૂર્ણ થાય ત્યાં સુધીમાં સીસીટીવી કેમેરા લાગી લાગી જાય એવા પ્રયત્નો થઇ રહ્યાં છે. શિશુઓના વોર્ડમાં ડસ્ટ ફિલ્ટર નથી, ઇન્ફેક્શન ન લાગે એ માટે આ જરૂરી છે. વોર્ડના એસી પણ સરખી રીતે કામ નથી કરતા.'
સ્ટાફને ટ્રેનિંગની જરૂર
'શિશુ વોર્ડમાં સ્ટાફને ટ્રેનિંગની જરૂર છે. નવા રોગોના ઉપચારો, કેટલાક રોગો કે બીમારીઓની નવી દવાઓ કે ઉપચારો શોધાયા હોય તો એ અંગે માહિતી મેળવવા, કઇ રીતે ઉપચાર કરવો એની જાણકારી માટે સ્ટાફને ટ્રેનિંગમાં મોકલવાનો હોય છે. પરંતુ લાંબા સમયથી શિશુ વોર્ડના સ્ટાફને ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યો નથી. નાના બાળકો સફજન ન ખાઇ શકે, એમને પ્રવાહી ખોરાક આપવાનો રહે છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે બનાવવામાં આવેલ નીતિ મુજબ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી હોસ્પિટલને ફૂડ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. પરુંત સિવિલ હોસ્પિટલમાં બાળકોને પ્રવાહી ખોરાક આપવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ઇનોવા અને ટેમ્પો ટ્રાવેલર એમ્બ્યૂલન્સ માટે ખરીદવામાં આવી હતી. આટલા વર્ષોથી આ એમ્બ્યૂલન્સ પડી છે, પરંતુ એમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ શૂન્ય છે. લાઇફ સપોર્ટ સિસ્ટમ એમ્બ્યૂલન્સનો પાયાનો નિયમ છે, એ વિના એમ્બ્યૂલન્સ સામાન્ય વાહન જેવી જ છે.'
સગર્ભા મહિલાને પૂરતું પોષણ
'રાજ્ય સરકારે કહ્યું કે, આ મૃતક નવજાત શિશુઓ જન્મ્યા ત્યારે એમનું વજન બહુ ઓછું હતું, આથી મૃત્યુ સ્વાભાવિક છે. કેન્દ્ર સરકારની નીતિ મુજબ, મહિલા ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં હોય ત્યારથી તેના પૂરતા પોષણની જવાબદારી સરકારની છે. આવી મહિલાઓને શોધી, તેમને જરૂરી પોષકયુક્ત આહાર આપવો, આ સમયમાં પૌષ્ટિક આહારની જરૂરિયાત તેમને સમજાવવી એ કામ સરકાર તરફથી આંગણવાડી અને આશા વર્કરની બહેનોને સોંપવામાં આવ્યું છે. જો આ કામ વ્યવસ્થિત રીતે થાય તો ઓછા વજનવાળા બાળકો જન્મે જ નહીં. રાજ્ય સરકાર આશા વર્કર અને આંગણવાડીના બહેનો અને મહિલાઓને સરકારી કર્મચારીમાં ગણતી જ નથી. તેમને પાગરના નામે મજાક કરતા હોય એમ સાવ નજીવી રકમ પકડાવવામાં આવે છે. સરકારના કોઇ મેળા થાય, ત્યારે ભીડમાં બેસવા મહિલાઓને શોધવાનું કામ તેમને સોંપવામાં આવે છે. એવામાં તેમનું મૂળ કામ, સગર્ભા બહેનોને શોધી પોષણ માટે માહિતી આપવી, એ રહી જાય છે.'
નિષ્પક્ષ તપાસ કરાવે રાજ્ય સરકાર
'મારી માંગ છે કે, ગુજરાત સરકાર આ મામલે પોતાની ભૂલ માને અને માફી માંગે. આજે ભારતીય જનતા પાર્ટીના પાપ અને રાજ્ય સરકારની બેદરકારીને કારણે ગુજરાત બાળમૃત્યુમાં અગ્રેસર છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સત્તામાં આવ્યા બાદ ઓક્સિજનના અભાવે કેટલાયે બાળકોના ભોગ લીધા, એમની સાથે ભાજપે હરીફાઇ કરવાની જરૂર નથી. ભાજપના હાથ સાફ હોય તો નિષ્પક્ષ તાપસ કરાવે. હાઈકોર્ટના સીટીંગ જજના મોનિટરીંગમાં સંપૂર્ણ સ્વચ્છ છબિ ધરાવતા અધિકારીઓની સમિતિ નીમવામાં આવે અને આ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે એવી અમારી માંગણી છે.'