ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 93 નવા કેસ નોંધાયા, 2ના મોત
દેશમાં અને રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 93 કેસ નોંધવામાં આવ્યા હતા.
અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં કોરોના સંક્રમણના નવા 93 કેસ નોંધવામાં આવ્યા હતા. જ્યારે 326 કોરોના દર્દીઓ રિકવર થયા હતા. વળી, 2 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં અમદાવાદમાં 20, વડોદરામાં 15, રાજકોટમાં 8, અમરેલીમાં 4, જામનગરમાં 4, જૂનાગઢમાં 3, આણંદમાં 3, ગાંધીનગરમાં 1 અને કચ્છમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં મંગળવારે 2,65,614 લોકોનુ રસીકરણ કરવામાં આવ્યુ. કુલ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 2,53,93,866 લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 98.39 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોના સંક્રણના કેસોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 હજારથી ઓછા દૈનિક કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણના 37,566 નવા કેસ નોંધાયા છે જ્યારે 56,994 કોરોના દર્દી રિકવર થયા છે. દેશમાં રિકવરી રેટ વધીને 96.87 ટકા સુધી પહોંચી ગયો છે. કોરોનાથી મૃત્યુ આંકમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 907 લોકોએ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ કોરોનાના કુલ કેસ 5,52,659 છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં આરોગ્ય સંયુક્ત સચિવ લવકુમાર અગ્રવાલે જણાવ્યુ હતુ કે દેશના 420 જિલ્લાઓમાં સંક્રમણના કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા એક સપ્તાબમાં દૈનિક નવા કેસો ઘટ્યા છે. દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસના 51 કેસ નોંધાયા છે. આ વાયરસ અતિ સંક્રમક હોવાના પુરાવા મળ્યા નથી. વળી, નીતિઆયોગના સભ્ય વી કે પૌલે માહિતી આપી કે મૉડર્ના વેક્સીનને ભારતમાં મંજૂરી મળી ચૂકી છે. સિપ્લા કંપનીને તેની આયાત અને માર્કેટીંગની પણ મંજૂરી મળી ગઈ છે.