રાજ્યમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરતો સ્ટોકઃ સચીવ અશ્વિની કુમાર
રાજ્યમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓનો પુરતો સ્ટોકઃ સચીવ અશ્વિની કુમાર
કોરોના વાયરસના સંક્રમણ સામે દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનની સ્થિતિમાં અંત્યોદય શ્રમજીવી અન્ન સુરક્ષા કાયદામાં અગ્રતા ધરાવતાં રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ માટે ઘઉં, ખાંડ અને ચોખાનો સંપૂર્ણ જરૂરિયાત મુજબનો જથ્થો પહોચાડી દેવાયો છે.
લોકોને બે ટાઇમ ભોજન મળે તે માટે સરકાર ચિંતિત
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચીવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, સસ્તા અનાજના દુકાનધારકો અને અન્ન નાગરિક પુરવઠા વિભાગને સ્પષ્ટપણે તાકીદ કરી છે કે અનાજ વિતરણની આ વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય એટલું જ નહિ, લોકો ભીડભાડ ન કરે તેની ખાસ વ્યવસ્થાઓ ગોઠવાય. લોકડાઉનની સ્થિતીમાં રાજ્યમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને બે ટાઇમ ભોજનની અગવડ ન પડે તેના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
જીવન જરૂરી ચીજો પુરતા જથ્થામાં ઉપલબ્ધ
રાજ્યમાં હાલની સ્થિતિએ રર.૩પ લાખ ફૂડપેકેટસ સ્થાનિક સત્તાતંત્રોએ સેવા સંગઠનો-સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી વિતરીત કર્યા છે. રાજ્યમાં દૂધ, શાકભાજી વગેરેના પુરવઠાની માહિતી આપતાં જણાવ્યું કે, બુધવારે રાજ્યમાં ૪૬-૧૭ લાખ લિટર દૂધનું વિતરણ થયું છે. તો, ૧.0૪ લાખ ક્વિન્ટલ શાકભાજી અને ૧૬,પ૬ર ક્વિન્ટલ ફળફળાદીની આવક થઇ છે. રાજ્યમાં શાકભાજી, ફળફળાદી કે અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાશે અને પુરતા પ્રમાણમાં મળી રહેશે તેવી ખાતરી પણ આપી હતી.
અનાજ વિતરણમાં વાસ્તવિકતા અને જાહેરાતમાં ભિન્નતા
રાજ્યમાં આજથી મફત અનાજ આપવાની સરકાર જાહેરાત કરી રહી છે. પરતુ, જમીની સ્તર પર સડેલુ અનાજ હોવાની તેમજ ફિંગરપ્રીન્ટ કરીને અનાજ આપવામાં આવતું હોવાની બૂમ ઉભી થઇ છે. એક તરફ કોરોના વાયરસના પગલે સોશિઅલ ડિસ્ટન્સિંગ રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, ફિંગરપ્રિંન્ટ લઇને અનાજ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કેટલીક સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ હજું શરૂ કરવામાં ન આવ્યું હોવાની પણ રાવ આવી છે. ત્યારે, તંત્ર જાહેરાત કરવામાં અને પાલન કરવામાં ક્યાંક ભિન્ન વર્તન કરતું હોવાનું દેખાય છે.