ગુજરાતમાં સિંહ મૃત્યુદર ચિંતાજનક, વિધાનસભામાં ઉઠ્યા સવાલ
ગુજરાતમાં સિંહ મૃત્યુદર ચિંતાજનક, વિધાનસભામાં ઉઠ્યા સવાલ
સમગ્ર એશિયાના ગૌરવ સમાન સિંહોનું નિવાસ સ્થાન એટલે ગુજરાતનો ગીર વિસ્તાર. દેશની શાન સમાન ગીરના સિંહ પર દિન પ્રતિદિન મૃત્યુનું જોખમ વધતું જાય છે. મૃત્યું જાણે કે, તેમનો પિછો કરતું હોય તેમ તેમની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં જ છે. છેલ્લા 4 વર્ષથી સિંહ અને સિંહ બાળના મોતમાં સતત વધારો થયો છે. તેમાં પણ કુદરતી કરતાં અકુદરતી મૃત્યુ આંક સતત વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય છે. આ માહિતી રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ચર્ચા દરમિયાન આપવામાં આંવી છે.
છેલ્લા બે વર્ષમાં સિંહોના મોતના અધધ.. આંકડા.
રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પર દ્રષ્ટિ કરીએ તો, છેલ્લા 2 વર્ષમાં 138 સિંહોના મોત નિપજ્યા છે. જ્યારે 123 સિંહબાળના મૃત્યુ થયા છે. એટલે કે, છેલ્લા બે વર્ષમાં જ 261 જેટલા સિંહોના મૃત્યું થઇ ચુક્યા છે. 2018ના વર્ષમાં 59 જયારે વર્ષ 2019માં 79 સિંહ મૃત્યુ પામ્યા છે. જેમાંથી 11 સિંહના અકુદરતી રીતે મૃત્યુ થયા છે. તે જ રીતે વર્ષ 2018માં 54 સિંહ બાળ જયારે 2019માં 69 સિંહ બાળના મૃત્યુ થયા છે. જેમાંથી 6 અકુદરતી રીતે મોતને ભેટ્યા છે. 2016 અને 2017માં 184 સિંહ મૃત્યુ પામ્યા તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા. એશિયાટિક સિંહોનાં મૃત્યુના આંકડાઓને સતત ચિંતાનો વિષય બની રહ્યો છે. આ અંગે કોંગ્રેસના MLA વિક્રમ માડમે સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે સિંહો મામલે સરકારનું વલણ "જંગલ મેં મોર નાચા કિસને દેખા" જેવું છે.
સિહોના મોત પાછળ સરકારની બેદરકારી અને બેપરવાહીઃ વિપક્ષ
રાજ્ય સરકાર ગંભીર ન હોવાના કારણે સિંહોના મોત સતત વધી રહ્યા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા ઉઘરાવતા હોવાનો અને સ્વબચાવમાં પ્રાણીઓના મૃત્યુમાં અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વિપક્ષ કોંગ્રેસે સિંહોના મૃત્યુ પાછળ જંગલ માં થતા ભ્રષ્ટાચાર અને ખામીઓને જવાબદાર ગણાવી છે. સાથે જ નિષ્પક્ષ તપાસની પણ મંગણી કરી છે. આ અંગે સરકારનો બચાવ કરતાં વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે સિંહો ગુજરાતનું ગૌરવ અને ઓળખ છે.
સિંહોના બચાવ માટે સરકાર સતત પ્રયત્નશીલ
રાજ્યના વનમંત્રીએ સિંહોના સંવર્ધન માટે સરકારની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. સિંહોના ભૂતકાળમાં થતાં મૃત્યુ હાલ અટકાવવામાં આવ્યા છે. 27 કરોડનો ખર્ચ સાથે આધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે. 40 કિમી રેલવેના ટ્રેકની બાજુમાં ફેન્સીગ કરાવ્યું છે. રાજ્ય સરકારે નવું શેત્રુંજી ડિવિઝન શરૂ કર્યું છે. 4 લાયન એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે. 80 કરોડના ખર્ચે સિંહો માટે નવી હોસ્પિટલ તૈયાર કરવામાં આવનાર હોવાનો પણ બચાવ કર્યો હતો.
શું લુપ્ત થઇ જશે સિંહની પ્રજાતિ
રાજ્યમાં સિંહોના સંવર્ધન માટે યોગ્ય પગલાં ન લેવામાં આવતાં હોવાના કારણે તેમજ વન અધિકારીઓની બેદરકારી અને મિલીભગતના કારણે સિંહોના મોતમાં ચિંતાજનક ઘટાડો થતો રહ્યો છે. જો આ પરિસ્થિતિ યથાવત રહી તો આવનારા દિવસોમાં સિંહ મુક્ત ગુજરાત જોવા મળે તો નવાઇ નહી. દેશ અને રાજ્યની ઓળખ સમાન સિંહની પ્રજાતિ લુપ્ત ન થાય તે માટે સરકાર ક્યારે પ્રયત્ન કરશે?
coronavirus વિશે આ 5 વાતો બિલકુલ ખોટી છે, જેનું સચ જાણવું તમારા માટે બહુ જરૂરી