રાજ્ય સરકારની ઢીલને કારણે ધોળાવીરાનો વિકાસ ન થઇ શક્યો?
ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં ધોળાવીરા અને સોમનાથનો સમાવેશ આઇકોનિક ટુરિઝમ સાઇટ્સની પ્રથમ યાદીમાં કરવામાં આવ્યો હતો, આ સાથે જ ગુજરાત સરકારને આ સ્થળો માટેની વિસ્તૃત વિકાસ યોજના રજૂ કરવા માટે જણાવ્યું હતું.
ગાંધીનગર : ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં ધોળાવીરા અને સોમનાથનો સમાવેશ આઇકોનિક ટુરિઝમ સાઇટ્સની પ્રથમ યાદીમાં કરવામાં આવ્યો હતો, આ સાથે જ ગુજરાત સરકારને આ સ્થળો માટેની વિસ્તૃત વિકાસ યોજના રજૂ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારની ઢીલી કામગીરીને પગલે આ અંગેની કામગીરીની શરૂઆત હજૂ થઇ નથી. જો રાજ્ય સરકારે વિકાસ યોજના બનાવી હોત તો આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ધોળાવીરાને વિકસાવવા માટે ચોક્કસ મદદ મળી હોત.
કેન્દ્ર સરકારે યુનેસ્કોને ભલામણ કરી હતી કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળવો જોઇએ. જે બાદ યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધોળાવીરા ડેવલોપમેન્ટ સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યા મુજબ, ધોળાવીરાને હવે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે, જે કારણે હવે વિકાસની યોજનાની તૈયારીઓ ઝડપી કરવામાં આવશે.
વર્ષ 2019માં કેન્દ્ર સરકારે ધોળવીરાને ભારતની 17 આઇકોનિક ટુરિઝમ સાઇટ્સની પ્રથમ યાદીમાં શામેલ કરી હતી અને પર્યટન મંત્રાલય દ્વારા હડપ્ન સંસ્કૃતિ સાઇટને ભારતના આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળોની સૂચિમાં સમાવી લેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સાઇટ પર પર્યટન સુવિધાઓ વિકસાવવા અને તેને ગુજરાત અને ભારતના આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે વિકસાવવા અને પ્રમોટ કરવા માટે જણાવ્યું હતું, પરંતું વિભાગ દ્વારા આ અંગે કોઇ કામગીરી થઇ શકી ન હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ યોજનાને આગળ વધારવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી. જે બાદ હજૂ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી. ધોળાવીરા પ્રવાસન વિકાસ યોજના તૈયાર કરવા માટે સરકાર ટૂંક સમયમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરશે, જેમાં બેથી ત્રણ વર્ષ કરતા વધુ સમય લાગી શકે છે. માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આગામી દિવસોમાં સલાહકારોની નિમણૂક કરવામાં આવશે. જેમાં મ્યુઝિયમ, પર્યટન સુવિધાઓ, અર્થઘટન કેન્દ્રો વગેરે શામેલ હશે. રાજ્ય સરકાર ધોળાવીરા ગામને પ્રવાસીઓ માટે માર્ગ દ્વારા વધુ સુલભ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
આઇકોનિક ટૂરિસ્ટ સાઇટ્સ તરીકે વિકસાવવા માટે દેશના 12 ક્લસ્ટર્સમાં 17 સાઇટ્સનો સમાવેશ
કેન્દ્ર સરકારે વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓને આકર્ષવા માટે ભારતમાં આઇકોનિક ટુરિસ્ટ સ્પોટ્સને સુચિબદ્ધ કર્યા છે. વર્ષ 2018-19ની બજેટ જાહેરાતોને અનુલક્ષીને પર્યટન મંત્રાલય દ્વારા આઇકોનિક ટૂરિસ્ટ સાઇટ્સ તરીકે વિકસાવવા માટે દેશના 12 ક્લસ્ટર્સમાં 17 સાઇટ્સનો સમાવેશ કર્યો છે. જેમાં તાજમહલ અને ફતેહપુર સીક્રી (ઉત્તર પ્રદેશ), અજંતા અને એલોરા (મહારાષ્ટ્ર), હુમાયુનો મકબરો, લાલ કિલ્લો અને કુતુબ મીનાર (દિલ્હી), કોલ્વા (ગોવા), આમેર ફોર્ટ (રાજસ્થાન), સોમનાથ અને ધોળાવીરા (ગુજરાત), ખજુરાહો (મધ્યપ્રદેશ), હમ્પી (કર્ણાટક), મહાબલિપુરમ (તામિલનાડુ), કાઝીરંગા (આસામ), કુમારકોમ (કેરળ) અને મહાબોધિ મંદિર (બિહાર)નો સમાવેશ થાય છે. આ સાથે પર્યટન મંત્રાલય દ્વારા ખાનગી રોકાણકારો સાથે મળીને આ સ્થળોના સર્વગ્રાહી વિકાસ માટે કામગીરી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.