હાર્દિક પટેલ પર દિનેશ બાંભણીયાનો સીધો સવાલ, શહીદોનું શું?
હાર્દિક પટેલની ચિંતન શિબિર પહેલા દિનેશ બાંભણીયાએ પ્રેસવાર્તા કરીને હાર્દિકને પર કોંગ્રેસથી ટિકિટ માંગવાથી લઇને શહીદોના પરિવાર અંગે અનેક સવાલ અને આરોપ લગાવ્યા. જાણો આ અંગે વિગતવાર અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે હાર્દિક પટેલના ડાબા હાથ ગણાતા દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલથી પોતાનો છેડો ફાડી દીધો હતો. હવે ચૂંટણી પછી જ્યાં એક તરફ હાર્દિક પટેલ ચિંતન શિબિર કરીને પાસનું નવસર્જન કરી રહ્યો છે ત્યારે દિનેશ બાંભણીયાએ શુક્રવારે એક પ્રેસવાર્તા કરીને એક પછી એક હાર્દિક પર પ્રહારો કર્યા હતા. આ પ્રેસવાર્તામાં દિનેશે હાર્દિક પટેલને સીધો સવાલ કરીને પુછ્યું હતું કે શહીદો માટે ઉગરાવેલું ફંડ તેમના ઘર સુધી ક્યારે પહોંચશે. ઉલ્લેખનીય છે કે દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલને 10 જેવા સવાલો પૂછ્યા હતા. જેમાં કોંગ્રેસથી 30 ટિકિટ માંગવાની વાત પણ ઉચ્ચારી હતી.
દિનેશે આરોપ લગાવ્યો હતો કે હાર્દિકે પટેલે ચૂંટણી સમયે કોંગ્રેસ પાસે 30 ટિકિટ માંગી હતી. વધુમાં અનામત અને શહીદના પરિવાર અંગે બોલતા દિનેશે કહ્યું કે અનામતના નામે જે ફંડ મળ્યું છે તે શહીદોના ઘર સુધી નથી પહોચ્યું? તો હાર્દિક ખુલાસો કરે કે ક્યારે આ ફંડ શહીદ પરિવારોને મળશે. સાથે જ તેણે અનામત આંદોલન રાજકીય દિશા તરફ આગળ વધી રહ્યું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.
સેક્સ સીડી પર દિનેશનો આરોપ
સેક્સ સીડી બાબતે દિનેશે હાર્દિક પટેલનો ખુલાસો માંગ્યો હતો. સાથે જ કહ્યું હતું કે જેલમાં ગયેલા યુવાનોના પરિવારો સામાજીક અને આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે હાર્દીક ની જાહોજલાજી વાળા જીવનનો ખર્ચ કોણ ભોગવે છે તે ખુલાસો કરો. સાથે જ ચિંતન શિબિર પર બોલતા દિનેશે કહ્યું કે પાસની સ્થાપના વખતે પાયામાં રહેલા કન્વીનરો કેમ પાસ છોડીને ગયા ?શું નવી સમિતિની રચનાનો ઉદ્દેશ્ય કોંગ્રેસ બચાવો ભાજપ ભગાવો છે? નોંધનીય છે કે એક્સ પાસ કન્વીનર વિજય માંગકિયાએ પણ આજે ચિંતન શિબિરના નામે હાર્દિક પટેલ કોંગ્રેસના એજન્ટને સમિતિમાં સમાવેશ કરશે તેવો આરોપ કર્યો હતો. ત્યારે ચિંતન શિબિર પહેલા દિનેશ બાંભણીયા દ્વારા હાર્દિક પટેલની ચિંતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.