કોરોના વોરિયર્સના મોંઘવારી ભથ્થા ના અટકાવો, સરકરી કર્મચારીઓની અપીલ
કોરોના વોરિયર્સના મોંઘવારી ભથ્થા ના અટકાવો, સરકરી કર્મચારીઓની અપીલ
કોરોના મહામારીએ આખા વિશ્વને પોતાના લપેટામાં લઈ લીધું છે, દિવસેને દિવસે હજારોની સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. વિશ્વના કેટલાય દેશોમાં લૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા આવ્યો છે, ત્યારે આર્થિક સંકળામણે પણ ચિંતા વધારી છે. લૉકડાઉનને પગલે માંગ ઘટતા દેશનું અર્થતંત્ર લથડી રહ્યું છે. ત્યારે કોરોના સામેની આ લડાઈ વચ્ચે આર્થિક બોજો હળવો કરવા સરકારે સરકારી કર્મચારીઓના 1-1 દિવસના પગાર કાપવાનો નિર્ણય લીધા બાદ હવે મોંઘવારી ભથ્થા પણ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.
જો કે કર્મચારીઓએ સરકારના આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ સરકારના આ નિર્ણયથી નારાજગી વ્યક્ત કરી છે, સરકારને પત્ર લખી મોંઘવારી ભથ્થા સ્થગિત કરવાને બદલે અન્ય રીતે નાણાકીય મદદ ઉભી કરવાનો વિકલ્પ પણ સૂચવ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આ કોરોના સામેની જંગમાં વિવિધ વિભાગના કર્મચારીઓ સરકાર સાથે ખભે ખભા મિલાવી પોતાના જીવના જોખમે રાષ્ટ્ર પ્રેમથી સેવા કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે તેના કર્મચારી/પેન્શનરોના જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો તે તદ્દન ગેરવ્યાજબી, અતાર્કીક અને કર્મચારી/પેન્શનરોને અન્યાય છે.
ઉલ્લેખનીય છે કે સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવાની સાથે જ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ સરકારને કપરા સમયે આર્થિક બોજાને હળવો કરવા માટે એક વિચારવાલાયક વિકલ્પ પણ સૂચવ્યો છે, જે મુજબ "ભારતમાં હાલ એક અબજ અઠ્ઠાવીસ કરોડ ઓગણીસ લાખ એકોતેર હજાર સાતસો તેર મોબાઈલ ધારકો છે. દરેક મોબાઈલ ધારકો પાસે માસિક 2 રૂપિયાનો સેસ ઉઘરાવવામાં આવે તો સરકારને દર મહિને 2 અબજ છપ્પન કરોડ ઓગણચાલીસ લાખ તેતાલીસ હજાર ચારસો છવ્વીસ રૂપિયાની આવક થાય." પત્રમાં આગળ લખવામાં આવ્યું કે જો આ વિકલ્પને વિચારણામાં લેવામાં આવે તો મોબાઈલ ધારકને મહિને 2 રૂપિયા સેસ આપવાથી કોઈ ભારણ નહિ લાગે અને દેશના તમામ નાગરિકો માટે સમાન ધોરણે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના લાગૂ થઈ શકશે.
જણાવી દઈએ કે સરકારે પહેલા જ કોરોના વોરિયર્સને વીમા સુરક્ષાકવચથી સુરક્ષિત કર્યા છે. હરિયાણા સરકારે કૉવિડ 19 વોરિયર્સને બમણો પગાર આપવાની પહેલા જ ઘોષણા કરી દીધી હતી, મહારાષ્ટ્રના શિવસેના, એમએલસી અને એનસીપીના ધારાસભ્યોએ પણ ડૉક્ટર અને નર્સ સહિતના સ્વાસ્થ્ય કર્મચારીઓના પગાર ડબલ કરવાની માંગણી કરી હતી ત્યારે સરકારનો મોંઘવારી ભથ્થા સ્થગિત કરવાનો નિર્ણય કર્મચારીઓને અન્યાય સમાન લાગી રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આખરે કર્મચારીઓની વાત સરકારના કાન સુધી પહોંચી શકે છે કે નહિ.
Coronavirus: આ દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ, માસ્ક લગાવી સંબંધીઓને મળવાની મંજૂરી