છેવટે લોકોની માંગણીને માન આપી દ્રારકામાં 2 નંબર ગેટ ખોલાયો
દ્રારકા જતા તમામ યાત્રીઓ અને શ્રદ્ધાળુ માટે એક સારા સમાચાર હવે મંદિરના ત્રણેય ગેટ ખુલી ગયા છે. જાણો આ અંગે વિગતવાર.
છેલ્લા લાંબા સમયથી યાત્રાધામ દ્રારકાના બીજા નંબરના ગેટને ખોલવાની માંગ કરવામાં આવી રહી હતી. પણ તેમ છતાં અનેક વાર માંગણી કરવા છતાં ગેટને સુરક્ષા કારણોથી બંધ રાખવામાં આવી રહ્યો હતો. છેવટે હવે મંદિરનો આ બીજો ગેટ પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પવિત્ર યાત્રાધામ દ્રારકાના મુખ્યત્વે ત્રણ ગેટ છે. પણ ભારત દ્વારા એલઓસી પાસે પાકિસ્તાનમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી તે પછી સુરક્ષાના કારણોને જોતા ત્રણ ગેટમાંથી બીજા નંબરનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો.
જેથી બીજા નંબર પાસેના વેપારીઓને આર્થિક નુક્શાન થઇ રહ્યું હતું. સાથે જ યાત્રીઓને પણ મુશ્કેલી વેઠવી પડી રહી હતી. જે લોકો બહારથી આવતા અને બીજો ગેટ બંધ છે તે વાતથી અજાણ હતા તેમને પણ આના લીધે કરીને ઉલ્ટો ફેરો થતો હતો. જો કે અનેક વાર પવિત્ર યાત્રાધામ દ્રારકાના ત્રણેય ગેટ ખુલ્લા રાખવાની માંગ કરવામાં આવી છે. અને આ અંગે ઉગ્ર રજૂવાત પણ થઇ હતી તેમ છતાં રાજ્ય સરકાર ટસની મસ નહતી થઇ. પણ હાલમાં જ આ બીજા નંબરનો ગેટ પણ ફરી ખોલવામાં આવતા યાત્રીઓ અને વેપારી મંડળને હાશકારો થયો છે. આમ હવે ત્રણેય ગેટ ખુલતા યાત્રીઓ કોઇ પણ ગેટથી દર્શનનો લાભ મેળવી આવી-જઇ શકે છે.