ભારતનું ચૂંટણી પંચની NRI મતદારો માટે ગુજરાત મોડેલ અપનાવવા વિચારણા
નવી દિલ્હી, 29 જુલાઇ : આ વર્ષે મે મહિનામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2014માં મતદાન કરવા ઇચ્છુક નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (Non resident Indians - એનઆરઆઇ - NRI) ત્યારે જ મતદાન કરી શક્યા હતા જ્યારે તેઓ ભારતમાં પોતાના નોંધાયેલા નિવાસ સ્થાને આવ્યા અને પોતાના મતવિસ્તારમાં આવેલા બૂથ પર મતદાન કરવા ગયા. એક માત્ર મતદાન કરવા માટે ભારત આવવાનું બધા જ એનઆરઆઇ મતદારો માટે શક્ય બનતું નથી. આ કારણે ઘણા ઓછા એનઆરઆઇ મતદારો ચૂંટણીમાં મત આપી શકે છે.
આ કારણે ભારતના ચૂંટણી પંચે વિદેશમાં વસતા એનઆરઆઇ વિદેશમાંથી જ તેમનો મત આપી શકે તે માટે ગુજરાતના ઓનલાઇન વોટિંગના મોડેલ પર નજર કરી છે.
નોંધનીય છે કે ગુજરાતે સૌ પ્રથમ વર્ષ 2011માં ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી સમયે ઓનલાઇન કે ઇન્ટરનેટ વોટિંગનો પ્રયોગ શરૂ કર્યો હતો. આ માટે પોલ પેનલ દ્વારા એનઆરઆઇ કેવી રીતે મત આપી શકે તે માટે એત કમિટીની રચના કરવામાં આવી હતી.
આ કમિશન એનઆરઆઇ લોબી દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી બાદ રચાયું છે. આ ઉપરાંત આ સંદર્ભમાં ગયા સપ્તાહે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ગુજરાતમાં ઓનલાઇન વોટિંગ સેવા કેવી રીતે હાથ ધરવામાં આવી તે અંગેનું એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ માટે ઉપ ચૂંટણી આયુક્ત વિનોદ ઝુત્સી બે સપ્તાહ પહેલા ગુજરાત પણ આવ્યા હતા.
વર્તમાન નિયમો અનુસાર માત્ર 11,844 વિદેશમાં રહેતા ભારતીયોએ મતદાર તરીકે નોંધણી કરાવી છે. તેમાંથી મહત્તમ કેરળના છે. તેમાંથી ભાગ્યે જ કોઇ મતદાન કરવા ભારત આવે છે. એનઆરઆઇ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ ચાર વિકલ્પો અંગે વિચારણા કરી રહ્યું છે. જેમાં પોસ્ટલ બેલોટ, પ્રોક્સી વોટિંગ, ઇન્ડિયન કમિશનમાં વોટિંગ અને ઓનલાઇન વોટિંગના વિકલ્પનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951માં સુધારો કરીને વર્ષ 2010માં એનઆરઆઇને મતાધિકાર આપવામાં આવ્યો હતો.