સાની ડેમનું કામ પૂર્ણ ના થતાં ખેડૂત હિત રક્ષક સમિતિની હાંકલ, 11 એપ્રિલે ખેડૂતો મળશે
સાની ડેમનું કામ પૂર્ણ ના થતાં ખેડૂત હિત રક્ષક સમિતિની હાંકલ, 11 એપ્રિલે ખેડૂતો મળશે
કલ્યાણપુર તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાની ડેમ વર્ષોથી ખાલીખમ પડ્યો હોવાથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અઢળક અરજીઓ, દેખાવો, પ્રદર્શનો, વિરોધ કરવા છતાં તંત્ર કે સરકારના કાન સુધી ખેડૂતોનો અવાજ નથી પહોંચી રહ્યો. અત્યારની સ્થિતિને જોતાં સાંસદ પૂનમબેનને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને પિયતનું પાણી પૂરું પાડતા સાની ડેમના કામને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં જરાય રસ ના હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષોથી ગોકળગાયની ગતિએ ચાલી રહેલા કામે ખેડૂતોની આવક પર માઠી અસર પાડી છે.
ત્યારે સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિએ ખેડૂતોને ફરી એકવાર પોતાની સમસ્યાના નિવારણ માટે એકઠા થવા હાંકલ કરી છે. આગામી 11 એપ્રિલ 2022ને સોમવારે સવારે 8 વાગ્યે સાની ડેમ બંગલો ખાતે ખેડૂતો એકઠા થઈ આ બાબતે અવાજ ઉઠાવશે.
આ માટે સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિ તરફથી એક મેસેજ ફરતો કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, "સાની ડેમ આધારિત પીવાના પાણી,ખેતી કરતા તમામ ખેડૂત ભાઈઓ,દરેક ગામના પ્રજાજનો ને નમ્ર વિનતી ,કે છેલા 5-7 વર્ષ થી ડેમ રીપેરીંગ ના કારણે પાણી ભરાતું નથી,ડેમ નું કામ ગોકળ ગતિએ ચાલે છે,કોન્ટ્રાકટર વારંવાર કામ બંધ કરી ને જાતાં રહે છે, છેલા બે વર્ષ થી દરવાજા ઉતરી ને ડેમ ને તોડી નાખેલ છે,જેથી ડેમ સાવ પાણી વગર નો ખાલી પડેલ છે,તો આ ડેમ આધારીત 15 થી 20ગામડાઓ ના ખેડૂતો ને ખેતી માટે પાણી મળતું નથી,જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને ખેત મજુરો ને મજૂરી ન મળવાના કારણે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે,હજારો લોકો ને પીવાનું પાણી ,રોજગાર ,ખેડૂતો ને ખેતી ની આવક બંધ થઈ ગઈ છે,જેથી બેકારી ,ગરીબી નો ભરડો લઈ લીધો છે, હવે ખેડૂતો ,મજૂરો , દરેક લોકો ને અપીલ કરવામાં આવે છે કે તમે તમારા હક્ક અને હીત માટે જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે સૌ સાથે મળી ને લડતના મંડાણ કરીએ."