એરાઉન્ડ ધ ગુજરાતઃ વડોદરામાં આગતાંડવ, લોકોમાં દોડધામ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, વડોદરાના હાર્દ સમા મંગળબજારમાં 100 વર્ષ જૂના મકાનમાં લાગેલી આગ ભીષણ બની જતા સાત દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ પસરી ગયો હતો. અમદાવાદના એપીએમસી માર્કેટથી જુહાપુરા તરફ જતા રોડ પર બાઇક સવાર દંપતીને ડમ્પરે અડફેટે લેતા બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ સરખેજ-ધોળકા હાઇવે પર હોબાળો મચાવતા ટ્રાફિક જામ થયો હતો અને સ્થિતિ તંગ બની ગઇ હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.
વડોદરામાં આગતાંડવ, લોકોમાં દોડધામ
વડોદરાના હાર્દ સમા મંગળબજારમાં 100 વર્ષ જૂના મકાનમાં લાગેલી આગ ભીષણ બની જતા સાત દુકાનો બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ પસરી ગયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 14 બંબાનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જેને લઇને લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે.
બગોદરા પાસે થયેલા અકસ્માતમાં બેના મોત
જુનાગઢ ખાતે મંત્ર મહોત્સવમાં સેવા કરીને ઘરે પરત ફરી રહેલા ખેડાના સત્સંગીઓને બગોદરાના મીઠાપુર ગામ પાસે નડેલા અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યાં છે. બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર પૂરઝડપે આવી રહેલા ટ્રકે સત્સંગીઓના આઇસરને પાછળથી ટક્કર મારતા આઇસર નદીમાં પલટી ગયું હતું. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે.
અમદાવાદઃ ડમ્પરની અડફેટે દંપતીનું મોત
અમદાવાદના એપીએમસી માર્કેટથી જુહાપુરા તરફ જતા રોડ પર બાઇક સવાર દંપતીને ડમ્પરે અડફેટે લેતા બાઇક સવાર દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ સરખેજ-ધોળકા હાઇવે પર હોબાળો મચાવતા ટ્રાફિક જામ થયો હતો અને સ્થિતિ તંગ બની ગઇ હતી. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લેવા અને ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં મોહમ્મદ આરીફખાન પઠાણ અને તેમના પત્ની મેહરુનીશા પઠાણ છે.
અમદાવાદઃ રિએક્શનથી ત્રણ માસની બાળકીનું મોત
અમદાવાદના જમાલપુરના અબ્દુલ ગફાર શેખની ત્રણ માસની બાળકીને તાવ આવતા વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા આપવામાં આવેલી દવાનું રિએક્શન આવ્યું હતુ અને તેનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જે કે વીએસ હોસ્પિટલ દ્વારા પરિવારજનોએ કરેલા આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે.
પોરબંદરઃ પૂર્વ MLAના ભત્રીજાએ કરી પત્નીની હત્યા
પોરબંદરના માધવપુર ગામમાં પત્નીની હત્યાનો આરોપી પૂર્વ ધારાસભ્યનો ભત્રીજો હોવાનું બહાર આવ્યું છે. પતિએ જ પત્નીને ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવના એક સપ્તાહ બાદ પોલીસે પર્દાફાશ કરતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. પતિ દ્વારા પ્રથમ પરિણીતા લાપતા થઇ હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા આ હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. માધવપુર ખાતે રહેતો અને ખેતીનું કામ કરતો કલ્પેશ હરીશ કરગડીયા નામનો યુવાન કે જે પૂર્વ ધારાસભ્યનો ભત્રીજો છે તેણે પોતાની સગર્ભા પત્નીની હત્યા કરી તેનો મૃતદેહ દાટી દીધો હતો.