અ'વાદના નારણપુરા વિસ્તારમાં લાગી આગ
અમદાવાદ, 13 ફેબ્રુઆરી: આજે બપોરે અમદાવાદના નારણપૂરા વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ભારે આગ ભભૂકી ઊઠી હતી, જેના પગલે ઘટના સ્થળે 10 ફાયર ફાઇટરની ગાડીઓ આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કોશીશ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ચાર કલાક સુધી આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે જઇને આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
આ આગ નારણપૂરા વિસ્તારમાં આવેલા પસ્તીના ગોડાઉનમાં આગ લાગી હતી. જોકે સ્થાનીકોએ પહેલા તો આગ પર કાબૂ મેળવવાનો અથાગ પ્રયત્ન કર્યો પરંતુ કાગળ, પૂઠા, પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ સામાન હોવાના કારણે આગ વધુને વધુ જોર પકડી રહી હતી. પહેલા ઘટના સ્થળે બે ફાયર ફાઇટર અને 8 ટેન્કરો આવી ગઇ હતી, પરંતુ આગ પર કાબૂ નહીં મેળવાતા વધું બે ટેન્કરોને બોલાવવી પડી હતી.
ફાયર બ્રિગેડના જવાનોના જણાવ્યા અનુસાર આગ સામાન્ય શોક સર્કીટના કારણે લાગી હતી, જેણે બાદમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે અધિકારીઓનું એવું પણ કહેવું છે કે આ પ્રકારે પસ્તીનું ગોડાઉન બનાવવું એક ગેરકાયદેસર છે, જે અંગે પ્રાથમિક તપાશ હાથ ધરવામાં આવશે.