જસ્ટીસ મેહતા લોકાયુક્ત બનાવા માંગતા જ નથી?
અમદાવાદ, 11 જાન્યુઆરી: તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક તરફી ચૂકાદો આપ્યા બાદ પણ ગુજરાતમાં સ્થિતિ એવી ઉભી થઇ રહી છે જાણે કે લોકાયુક્ત મામલે હજી અવઢવભરી સ્થિતિ હોય. કારણ કે લોકાયુક્ત તરીકે નિમણૂંક પામેલા પૂર્વ જસ્ટિસ આર. એ. મહેતા સુપ્રિમ કોર્ટ તરફથી દરવાજો ખોલી દીધા પણ પોતાનો ચાર્જ સંભાળવામાં વિલંબ કરી રહ્યા છે.
મીડિયા અહેવાલો પ્રમાણે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ લોકાયુક્ત બનવા જ માગતા નથી. આ ઉપરાંત આર.એ. મહેતાને તેમના પરિવાર તરફથી પણ લોકાયુક્ત બનવા માટે સમર્થન મળી રહ્યું નથી તેવા પણ સમાચાર છે. આ બધાની વચ્ચે તેઓ ક્યારે લોકાયુક્ત તરીકે પોતાનું પદ ગ્રહણ કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ કમલા બેનિવાલ તરફથી સૂચવવામાં આવેલા નામ સામે રાજ્ય સરકારે પહેલા વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાંત આ મુદ્દે રાજ્યપાલે રાજ્ય સરકારનો અભિપ્રાય મેળવ્યો ન હોવાનો આક્ષેપ પણ મોદી સરકારે કરી આ નિમણૂકને અદાલત સમક્ષ પડકારી હતી. જોકે બધી હરકતોની વચ્ચે સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકને યોગ્ય ઠેરવી હતી. સાથે સાથે એમ જણાવ્યું હતું કે રાજ્યપાલે રાજ્ય સરકારનો આ અંગે પરામર્શ લેવાની જરૂર હતી.