ગીરના સિંહોની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય, 5 નવા અન્ડરપાસ અને AI ટેકનોલોજીથી રખાશે નજર
ગીરના જંગલોમાં એશિયાટિક સિંહોના સુરક્ષિત વિચરણ માટે રેલવે વિભાગ દ્વારા મહત્વના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં કાર્યરત બે અન્ડરપાસ ઉપરાંત, વન્યજીવોની અવરજવર માટે વધુ 5 નવા સિંહ અન્ડરપાસ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નનો લેખિત જવાબ આપતા આ માહિતી શેર કરી હતી.

સિંહોના ટ્રેક પર થતા અકસ્માતો રોકવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દામનગર-પીપાવાવ સેક્શનના 115 કિમી વિસ્તારમાં 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' આધારિત ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ (IDS) મંજૂર કરવામાં આવી છે.
આ સિસ્ટમ ટ્રેક નજીક સિંહોની હાજરી હશે તો તરત જ લોકો પાઇલટ અને સ્ટેશન માસ્ટરને એલર્ટ મેસેજ મોકલી દેશે.
રેલવે મંત્રીએ જણાવ્યું કે ગીર જંગલમાંથી પસાર થતો રેલવે નેટવર્ક હાલમાં મીટર ગેજ લાઇન પર કાર્યરત છે. સિંહોની સુરક્ષાને ધ્યાને રાખીને વન્યજીવ કોરિડોર તરીકે ઓળખાયેલા વિસ્તારોમાં ટ્રેનો ખૂબ જ ધીમી ગતિએ ચલાવવામાં આવે છે.
આ પ્રોજેક્ટ દ્વારા સિંહો અને ટ્રેન વચ્ચે થતા જીવલેણ અકસ્માતોને શૂન્ય પર લાવવાનો રેલવે વિભાગનો મુખ્ય લક્ષ્યાંક છે.
વન વિભાગ અને રેલવે વચ્ચે સંકલન જાળવવા માટે સર્કલ, ડિવિઝનલ અને રેન્જ લેવલની ખાસ સમિતિઓની રચના કરાઈ છે.
આ સમિતિઓની બેઠક દર મહિને અને ત્રિમાસિક ગાળે યોજાય છે, જેમાં વન્યજીવ સુરક્ષાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે. પરિમલ નથવાણીએ ગીરમાં એલિવેટેડ રેલ કોરિડોર અને સિંહોના સંરક્ષણ માટે ભવિષ્યના આયોજન અંગે પણ વિગતો માંગી હતી.












Click it and Unblock the Notifications
