ગુજરાતમાં દલિત પરિવારોને સરકારની ભેટ, આંબેડકર આવાસ યોજના અંતર્ગત આપ્યાં ઘર
ગુજરાતમાં દલિત પરિવારોને સરકારની ભેટ, આંબેડકર આવાસ યોજના અંતર્ગત આપ્યાં ઘર
દરેક પરિવારને પોતાના ઘરનું ઘર હોય તે સ્વપ્ન હોય છે. પરંતું, આજના મોંઘવારીના સમયમાં દરેક પરિવારને ભરણપોષણ કરી ઘરનું ઘર ઉભું કરવું મુશ્કેલ પણ બન્યુ છે. ત્યારે, માંડ મજૂરી કરી બે ટંક રળતાં ગરીબ પરિવાર માટે ઘરનું ઘર માત્ર સ્વપ્ન બની ન રહે અને તેમને પણ ઘરની છત મળી રહે તે માટે રાજ્યમાં આવાસ યોજના માટેની અનેક યોજનાઓ અમલમાં આવેલી છે. જેમાં, રાજ્ય સરકાર દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ ગરીબ દલિત પરિવારોને આવાસ આપવામાં આવે છે.
રાજ્યની અંદાજીત છ કરોડ પચાસ લાખ જેટલી વસ્તીમાં અંદાજે 60 લાખ જેટલા અનુ જાતિના લોકો વસવાટ કરે છે. આ પરિવારોમાં અત્યંત ગરીબ અને રોજગાર વિહોણા લાખો પરિવારોને પોતાના ઘરનુ સ્વપ્ન પુરુ પાડતી આંબેડકર આવાસ યોજના છે. આ યોજના હેઠળ અનુ જાતિના પરિવારોને ઘરનું મકાન બાંધકામ કરવા માટે 1.20 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે. રાજ્ય સરકારની આ યોજના વર્ષ 1999થી અમલી છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 14 હજાર જેટલા આવાસના લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે, જેમાં આ વર્ષે 7080 જેટલા આવાસો નિર્માણ કરવાનો લક્ષ્યાંક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી દરેક પરિવારને પોતાનું ઘર ધ્યેય સાથે ઘર વિહોણા પરિવારોને ઘર આપવાના લક્ષ્યાંક સાથે કટિબદ્ધ છે. ત્યારે, આ આંબેડકર આવાસ યોજના દ્વારા પાછલા બે વર્ષની તુલનામાં આવાસ આપવાનો બમણો લક્ષ્યાંક મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે. આ યોજનાના લાભાર્થી માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની આવક મર્યાદા અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ સહાય આપવામાં આવે છે.
રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજનાના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સેંકડ઼ો પરિવારોને પોતાની છત મળી છે, જેના કારણે તેમના પરિવારોને આત્મસમ્માનથી રહેઠાણ પ્રાપ્ત થયું છે. બનાસકાંઠાના ઠાકરસી હેંગડાએ જણાવ્યું હતુ કે, અમો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં, અમારે કાચા મકાનમાં રહેતા પરિવારને ચોમાસામાં ભારે અગવડ પડતી હતી. પરંતું, સરકારની આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય લઇ પોતાનું ઘર તૈયાર કરી હાલ સુખીથી રહી શકીએ છીએ.
આંબેડકર આવાસની સરકારી યોજના થકી આ લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજી કાગળો સાથે ઇ-સમાજકલ્યાણની વેબસાઇટ પર અરજી કરવાની રહે છે. આવેદન કરવાની સરળ પ્રક્રિયા બાદ જરૂરી ખરાઇ કરીને તંત્ર દ્વારા મંજૂરી ઓર્ડર અને સહાયતા રકમનો પ્રથમ હપ્તો પણ ચુકવવામાં આવે છે. થરાદના સેંધાભાઇ પરમારે જણાવ્યું હતુ કે, આંબેડકર આવાસ યોજના હેઠળ ગામના 40 જેટલા પરિવારોને આ સહાય આપવામાં આવી છે. જેના કારણે કાચાં અને ઝૂંપડ઼પટ્ટીમાં રહેતા ગરીબ દલિત પરીવારો માટે આશ્રય સ્થાન બન્યુ છે. આ યોજના ખરેખર ઘર વિહોણા પરિવારો માટે વરદાન સમાન કહી શકાય.
રાજ્ય સરકાર સમાજ કલ્યાણના કાર્યો કરી સામાજિક ઉત્કર્ષના કાર્યો થકી રાજ્યના વિકાસમાં દરેક પરિવારને આવાસ ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે, રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના 50 લાખ જેટલા ગરીબ દલિત પરિવારો માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરનારી યોજના છે.