ફરીથી ઉછળ્યો પાટીદાર પોલીસ દમનનો મુદ્દો, રાજ્ય સરકારે આપ્યો તપાસનો આદેશ
પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ દ્વારા કરાયેલા દમન અને અત્યાચાર અંગે તપાસ કરવા માટે નીમાયેલા તપાસ પંચની જાહેરાતના ૭ મહિના બાદ હવે તેમાં તપાસનો આદેશ આપ્યો છે.
પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ દ્વારા કરાયેલા દમન અને અત્યાચાર અંગે તપાસ કરવા માટે નીમાયેલા તપાસ પંચની જાહેરાતના ૭ મહિના બાદ હવે તેમાં તપાસનો આદેશ આપ્યો છે. પાટીદાર આંદોલન વખતે થયેલા અત્યાચારની હવે કે.એ.પૂંજ તપાસ કરશે. લોકસભાની ચૂંટણી પહેલાં પાટીદારોને રિઝવવા રાજ્ય સરકારે આ તપાસના આદેશ આપ્યા હોવાનું લાગી રહ્યુ છે.
આ તપાસપંચ પાટીદાર આંદોલન વખતે દમન કરનાર પોલીસ કર્મચારીઓ અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. રાજ્ય સરકારના આ આદેશ પ્રમાણે કે.એ.પૂંજ તપાસ પંચે કામગીરી શરૂ પણ કરી દીધી છે. રાજ્ય સરકારે કરેલા આ આદેશ પ્રમાણે ૨૫ ઓગસ્ટ ૨૦૧૫ જીએમડીસી ગ્રાઉન્ડ અને રાજ્યભરમાં થયેલા તોફાન અને અત્યાચારના બનાવોમાં પોલીસ ભૂમિકા અંગે રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપશે.
તપાસ પંચે પાટીદારો પર પોલીસ દમન અંગે તપાસ કરવાના આદેશ બાદ પીડિત પરિવારો અને સાક્ષીઓના નિવેદનો પણ મંગાવવાની કામગીરી હાથ ધરી છે. જેમાં પાટીદાર આંદોલન વખતના પીડિતો સોગંદનામા સાથે કે.એ.પૂંજ પંચને પોતાની રજૂઆત કરી શકશે. આ તપાસ પંચ સામે અસરગ્રસ્તો કે અન્ય સંબંધિતોને પોતાના નિવેદનો રજૂ કરવા તપાસ પંચ સમક્ષ હાજર રહેવાનું રહેશે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજાણ
પાટીદાર આંદોલન દરમિયાન પોલીસ દમન અંગે નિમાયેલા તપાસ પંચ અને તેની કામગીરીથી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અજાણ છે. ત્યારે, ખરેખર કોના નિર્ણયથી આ તપાસ પંચે કામગીરી શરૂ કરી હશે ? તો બીજી તરફ પાટીદાર આંદોલન વખતે મહત્વની ભૂમિકા નિભાવનાર પાટીદાર સંગઠન એસપીજીએ તપાસ કરવાના આ નિર્ણયને આવકાર આપ્યો છે.
તપાસપંચ 2019 પહેલાંની લોલીપોપઃ હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે પૂંજ તપાસ પંચ અંગે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ પંચની રચના આગામી ૨૦૧૯ની લોકસભાની ચુંટણી પહેલાંની વધુ એક લોલીપોપ છે. જે નારાજ પાટીદારોને મનાવવા માટે લોલીપોપ સમાન છે. પોલીસ દમનમાં મુખ્ય સૂત્રધાર તો અમીત શાહ છે. જે વખતે ધમાલ થઈ હતી તેમના કેટલાક અધિકારીઓનું પ્રમોશન થયું છે અને કેટલાક દિલ્હી બેઠા છે. તો શું એમની સામે પણ કાર્યવાહી થઈ શકશે ખરી ?
હાર્દિક પટેલ પર છે રાજદ્રોહનો આરોપ
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં કોર્ટમાં ચાર્જફ્રેમની શરૂઆત થઈ હોવાથી હાજર રહ્યો હતો.પંચોને બોલાવાયા હતાં પરંતુ પંચો હાજર રહ્યા નહોતાં. હાર્દિકે કહ્યું હતું કે, કેસમાં જાણી જોઈને ખોટી ઉતાવળ કરવામાં આવી રહી છે. કેસની સાથે તેઓ પણ આંદોલનને તેજ કરી રહ્યાં છે. સુરતમાં ત્રણેક દિવસના રોકાણ દરમિયાન વિવિધ મિટિંગોમાં હાજર રહીને ભાજપ સામે મોરચો માંડી રહ્યા હોવાનું જણાવ્યું હતું.