ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 30 સપ્ટેથી : લોકાયુક્ત મુદ્દો ગાજશે
રાજય સરકાર અગાઉ રાજયપાલે પરત કરેલ શિક્ષણ સુધારા વિધેયક અને લોકાયુકતની વરણીનું વિધેયક યથાવત અથવા થોડા સુધારા સાથે પરત કરવાના મિજાજમાં હોવાનું જાણવા મળે છે. સુરતના વર્તમાન ધારાસભ્ય કિશોર વાંકાવાલાનું અવસાન થતા સોમવારે બપોરે 12 વાગ્યે તેમને શ્રધ્ધાંજલી આપી ગૃહ મોકુફ રહેશે. મંગળવારે ગૃહની કાર્યવાહી વિધિવત શરૂ થશે. બુધવારે ગાંધી જયંતિની રજા છે. ગુરૂવારે ગૃહનો અંતિમ દિવસ છે.
વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના પ્રવકતા ધારાસભ્ય શૈલેષ પરમારના જણાવ્યા મુજબ તાજેતરના વરસાદથી લોકોને પારાવાર પરેશાની અને નુકસાની થઇ છે. તેમને પુર વળતર આપવાની અમારી માંગી છે. સરકાર લોકાયુકતની નિમણૂંક કરતી નથી. વિપક્ષને મળવા પાત્ર ગૃહનું ઉપાધ્યક્ષ પદ 12 વર્ષથી ખાલી છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. યુવાનો રોજગારી માટે ટળવળે છે. રાજય સરકારના કારણે પાક વિમો અટકયો છે. આ બધા પ્રશ્નો કોંગ્રેસ ગૃહની અંદર-બહાર જોરશોરથી ઉઠાવશે. 1 ઓક્ટોબરના રોજ બપોરે કોંગ્રેસની યુવા પાંખ રોજગાર અધિકાર રેલી યોજી વિધાનસભાને ઘેરાવ કરવા આગળ વધશે.