ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અદ્ધરતાલ
ગાંધીનગર, 12 ઓગસ્ટ : ગુજરાતમાં જસ્ટીસ આર એ મહેતાએ લોકાયુકત પદ સ્વીકારવાની અનિચ્છા દર્શાવતા સરકારે હવે નવા લોકાયુકતની નિમણૂંક માટે નવેસરથી પ્રક્રિયા કરવી પડશે. સરકાર નવી નિમણૂંક નવા કાયદા મુજબ કરવા માંગે છે. રાજયપાલ તેમની પાસે રહેલા લોકાયુકતના ખરડાને મંજુરી આપે પછી જ સરકાર નવી લોકાયુકતની નિમણૂંક નવા કાયદા મુજબ કરવા માંગે છે.
વર્તમાનમાં લોકાયુકતની નિમણૂંકની જોગવાઇ તથા કાર્યપદ્ધતિમાં ધરખમ ફેરફાર કરતો ખરડો રાજય સરકારે ગત એપ્રિલમાં મંજૂર કરી રાજયપાલને સહી માટે મોકલી આપ્યો હતો. રાજયપાલે તેના પર કોઇ નિર્ણય જાહેર કર્યો નથી જે તે વખતે સૂચિત નવો કાયદો જસ્ટીસ મહેતાના કિસ્સામાં લાગુ નહિ પડે તેવી સ્પષ્ટતા સરકારે કરી હતી. હવે ખુદ જસ્ટીસ મહેતાએ જ લોકાયુકત પદ સ્વીકારવાની ના પાડી દેતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવી ગયો છે. મહેતાએ સાત પાનાના પત્રમાં સરકાર પર આક્ષેપો કર્યા છે તેને ધ્યાને લઇને સરકાર હવે તેમને લોકાયુકત પદ સ્વીકારવા માટે કહેવાના સહેજ પણ મૂડમાં નથી.
વિધાનસભામાં નવા લોકાયુકત અંગેનો ખરડો પસાર થયો ત્યારે સરકારે તેને વધુ વ્યાપક અને પ્રભાવક બનાવવા જોગવાઇ કર્યાનો દાવો કર્યો હતો. જયારે વિપક્ષે સરકાર પોતાને ગમતા વ્યકિતને લોકાયુકત તરીકે મૂકી શકે અને અનુકુળ અહેવાલ મેળવી શકે તેવી જ જોગાવઇ કર્યાનો આક્ષેપ કરેલ. નવો કાયદો અમલમાં આવે તો તેમાં રાજયપાલ, ચીફ જસ્ટીસ વગેરેના બદલે સરકારની જ ભૂમિકા ચાવીરૂપ બની રહે તેવો સમીક્ષકોનો મત છે.
બદલાયેલા સંજોગોમાં રાજયપાલ લોકાયુકત અંગેના ખરડાને મંજુરી આપે તો રાજય સરકારને અનુકુળ લોકાયુકત મૂકવા મોકળુ મેદાન મળી શકે. રાજયપાલ ખરડો પડતર રાખી મૂકી અથવા તેમાંથી કોઇ મુદ્દો ઉઠાવી સરકારને પાછો મોકલે તો સરકારને વધુ સમય (સંસદની ચૂંટણી સુધી) પસાર કરવાની વધુ એક તક મળી શકે. ખરડો જયાં સુધી કાયદાનું સ્વરૂપ મલ્યે ત્યાં સુધી સરકાર હાલની જોગવાઇ મુજબ લોકાયુકત નિયુકત કરવા ઉત્સાહી નથી. અત્યારે સરકાર માટે બન્ને સ્થિતિ ફાયદારૂપ ગણાય છે. એક દસકાથી ખાલી રહેલુ લોકાયુકત પદ હજુ કયાં સુધી ખાલી રહેશે ? તે કોઇ છાતી ઠોકીને કરી શકે તેમ નથી.