ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી
ગુજરાત સરકારે રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. માર્ચ 2026માં આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતા આ પગલું લેવાયું છે.
શહેરી વિકાસ વિભાગના આદેશ મુજબ, નવી ચૂંટણીઓ ન યોજાય ત્યાં સુધી સરકારી અધિકારીઓ વહીવટ સંભાળશે. લોકોના રોજિંદા કામકાજમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી આ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત નગરપાલિકા કાયદા મુજબ પાંચ વર્ષની ટર્મ પૂરી થતા વહીવટદારની નિમણૂક અનિવાર્ય બની જાય છે. આ દરમિયાન ચૂંટાયેલી પાંખની સત્તા સમાપ્ત થાય છે અને વહીવટી દોરી સંચાર સરકાર હસ્તક જાય છે.
વર્ગીકરણ મુજબ મામલતદાર અથવા પ્રાંત અધિકારીઓને આ નગરપાલિકાઓમાં વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ઉદાહરણ તરીકે સાવલી નગરપાલિકાનો વહીવટ હવે સ્થાનિક મામલતદાર દ્વારા સંભાળવામાં આવશે.
સરકારે વહીવટદારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે જેથી નાગરિક સુવિધાઓ પર માઠી અસર ન પડે. તેઓ માત્ર અગાઉ મંજૂર થયેલા વિકાસ કામોના જ વર્ક ઓર્ડર આપી શકશે તેવું જણાવાયું છે.
પીવાનું પાણી, ગટર, રસ્તાની લાઈટો અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતો માટે વહીવટદારો ખર્ચ કરવાની સત્તા ધરાવશે. આ પાયાની સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે તંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
વહીવટદારો પર કેટલીક મર્યાદાઓ પણ મુકવામાં આવી છે, જેમાં તેઓ કોઈ નવો નીતિવિષયક નિર્ણય લઈ શકશે નહીં. કોઈ પણ મોટા નવા પ્રોજેક્ટ કે યોજનાની જાહેરાત કરવાની સત્તા તેમને આપવામાં આવી નથી.
હાલમાં નગરપાલિકાઓમાં 'બાબુરાજ' શરૂ થતા નાગરિકોએ હવે કામકાજ માટે સીધો મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગર વહીવટી પ્રક્રિયા કેટલી ઝડપી બને છે તે જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
