વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો કોના? જાણો જાતિના ગણિતથી
ગુજરાતની આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો કંઇ પાર્ટીને પોતાનો મત આપશે અને કેમ? જાણો અહીં વિશ્વેષ્ણાત્મક લેખમાં વિગતવાર.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ડિસેમ્બરના મધ્ય ભાગમાં જ નક્કી થઇ જશે કે આવનારા 5 વર્ષમાં ગુજરાતમાં કોનું રાજ ચાલશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અન્ય કોઇ પણ ચૂંટણીની જેમ આ વખતે જાતિવાદનું ગણિત જોરમાં છે. વિકાસના નામે આટલો વખત જીતતી આવતી ભાજપ સરકારને પણ આ વખતે પાટીદાર કોના? દલિતો કોના? કોળી સમાજના વોટ કોને જશે તેવા સવાલો પુછવાનો વારો આવ્યો છે. હાર્દિક પટેલ આ સમગ્ર ચૂંટણીમાં એક મહત્વનું પાસું બન્યો છે. જાતિવાદનું ગણિત જોતા કહેવાય છે કે ભાજપની 182 સીટો માંથી 50 થી 60 સીટો પર પાટીદારો અસર કરી શકે છે. પણ જાતિવાદનું આ ગણિત સમજતા પહેલા પાટીદારો કોના અને કેમ તે જાણવું પણ એટલું જ જરૂરી છે. વિગતવાર જાણો અહીં...
પાટીદાર કોના?
પાટીદાર સમાજમાં એક વર્ગ છે જેમની પાસે મની-પાવર બધુ જ છે. અને એક વર્ગ તેવા પણ છે જે આજે પણ ખેતી કે સામાન્ય નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પાટીદારોમાં કડવા અને લેઉઆની સાથે જ પૈસાદાર અને સામાન્ય કે મધ્યમ પાટીદાર પરિવારમાં વર્ગીકૃત થાય છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનની લડાઇ પણ પાટીદારોના આ જ બે વર્ગો પર આધારીત છે.
40 ટકા છે પૈસાદાર
પાટીદારોમાંથી કુલ 40 ટકા પાટીદારો પૈસાદાર છે. તેમની પાસે પોતાનો કરોડોનો વેપાર છે. સમાજમાં ઓળખ છે અને રાજકીય પાવર અને વગ પણ ધરાવે છે. આમાંથી કેટલાક પાટીદારો ભાજપ સરકાર સાથે પણ જોડાયેલા છે. તેમના વેપારને વિકાસની પૂરતી તકો ભાજપની સરકારે આપી છે. જેના કારણે આ 40 ટકા પાટીદારો આવનારી ચૂંટણીમાં તેમનું બિઝનેસ સેટિંગ બરાબર ચાલતું રહે તે માટે ભાજપને જ વોટ કરશે તેવી સંભાવના રહેલી છે.
60 ટકા પાટીદારો
આ અન્ય 60 ટકા પાટીદારો મધ્યથી સામાન્ય પરિવારમાં આવે છે. ટૂંકમાં કહીએ તો હાર્દિકની જેમ વિરમગામના મધ્યમ પરિવારમાંથી આવતા લોકો. તેમની પાસે ખેતી છે. સામાન્ય નોકરી છે. પણ પૈસાની સદ્ધરતા નથી. તેમને પણ વિકાસ જોઇએ છે. તેમને પણ તેમના બાળકો અને આવનારી પેઢીની આર્થિક સદ્ધરતા જોઇએ અને આ જ કારણ છે કે તે હાર્દિક અને અનામતની માંગ સાથે સીધી રીતે પોતાની જાતને જોડી શકે છે. અને આ જ કારણે આ 60 ટકા લોકો ભાજપને વોટ આપશે તેવી સંભાવનાઓ ઓછી છે.
ગુજરાતની સ્થિતિ
ચોક્કસથી ગુજરાતમાં 24 કલાક વિજળી છે. પાણીની સમસ્યા પહેલા કરતા ઓછી થઇ છે. રસ્તાઓ શહેરોમાં સારા છે. પણ આ જે 60 ટકા પાટીદારો છે તે શહેરોમાં નહીં ગામડાથી આવે છે. ભાજપને હંમેશાથી શહેરી પાર્ટી માનવામાં આવે છે. શહેરી લોકો ભાજપની સુખ સવિધાઓથી વધુ ખુશ જોવા મળે છે. પણ ગામડામાં ભાજપ હજી પણ ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યો છે. અને આ ગોકળગતિ આ ચૂંટણીમાં પણ ભાજપની મુશ્કેલી વધારવાની છે.
હાર્દિકનું કદ
હાર્દિક પટેલને યુવા પાટીદાર લોકો વધુ માને છે. જો કે 50 વર્ષથી વધુ વય વાળા લોકો હાર્દિકના જુવાળને સંપૂર્ણ પણે સમજી નથી શક્યા. નવ યુવકોને હાર્દિકને વાતો તેમના પ્રશ્નોને કોઇએ વાચા આપી તેવી લાગે છે કારણ કે તેમને રોજગાર જોઇએ છે. વસ્તી વધારા સાથે જ રોજગારી ભારત જેવા દેશની જ નહીં વૈશ્વિક સ્તરે જ એક મોટો પડકાર બનીને ઊભી થઇ છે. ત્યારે પાટીદાર કોના તે સમજવા માટે પૈસાનું આ પાટીદાર ફેક્ટર સમજવું પણ એટલું જ જરૂરી છે.