Gujarat Assembly Election 2022: મહુવા ખાતે ભાજપની વિશાળ જાહેર સભા યોજાઇ, કેશવપ્રસાદ મોર્ય રહ્યા હાજર
સુરત વિધાનસભા 170 મહુવા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહન ઢોળિયાની જંગી મતથી જીત થાય, તે માટે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યની ઉપસ્થિતિમાં મહુવા ખાતે વિશાળ સંખ્યામાં જાહેર સભા યોજાઇ હતી.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી આવી ગઇ છે, ત્યારે કાર્પેટ બોમ્બિંગ અંતર્ગત કેન્દ્રના નેતા હવે ગુજરાત પ્રવાસ છે, તે સંદર્ભે સુરત વિધાનસભા 170 મહુવા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહન ઢોળિયાની જંગી મતથી જીત થાય, તે માટે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યની ઉપસ્થિતિમાં મહુવા ખાતે વિશાળ સંખ્યામાં જાહેર સભા યોજાઇ હતી.
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યે મહુવાની જનતા જનાર્દનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પર આવીએ તો 56 ઇંચની છાતી વાળા આપણા પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કાર્યો જોઇ મારી છાતી પણ 56 ઇંચથી વધી જાય છે. આ ટ્રાયબલ વિસ્તાર અર્બન વિસ્તારથી પણ વધારે વિકસિત દેખાઇ રહ્યો છે. આ ગુજરાત પ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના કામોથી જાણીતું છે. અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જે આંદોલન થયું, તેમાં ઉત્તર પ્રદેશ સાથે ગુજરાતે ખભેથી ખભો મિલાવી આંદોલન કર્યુ છે. ગુજરાતની જનતાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા તેમજ નરેન્દ્રભાઇ મોદીને દેશના પ્રધાનસેવક બનાવવા માટે 26 સાંસદોને જીતાડ્યા તેના કારણે અયોધ્યામાં રામ મંદિર ભવ્ય બની રહ્યું છે અને વર્ષ 2024 ની ચૂંટણી પહેલા ભવ્ય રામ મંદિર બની જશે.
કેશવપ્રસાદ મોર્યે વધુમાં જણાવ્યું કે, 8 ડિસેમ્બરના રોજ જ્યારે મતોની ગણતરી ન માત્ર ગુજરાત કરશે, પરંતુ આખુ વિશ્વની નજર હશે. કારણ કે, આ ગુજરાતના લોકલાડિલા પુત્ર નરેન્દ્ર મોદીનું રાજ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાને કયારેય નીચુ જોવુ પડે, તેવું કામ કર્યુ નથી. તેથી તમે પણ તેમને નીચુ જોવું પડે તેમ ન કરતા. આજે આપ સૌને અપિલ કરુ છું, ગુજરાતમાં ભાજપની સરકાર છે અને 8 ડિસેમ્બરના રોજ ફરી ભાજપની સરકાર બનવાની જ છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક બેઠકો મળે તે માટે મત આપજો. કોંગ્રેસને વોટ આપવાનો મતબલ છે, તમારો મત બગાડવો. દરેક રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં ભાજપને ઓછી બેઠક મળે તે માટે મહેનત કરી રહી છે, જેથી 2024 માં મોદીને રોકી શકાય. કોંગ્રેસનો અર્થ જ છે કુશાસન, ભ્રષ્ટાચાર. દેશના પ્રધાનસેવકે દેશની સુરક્ષામાં કોઇ બાંધછોડ કરી નથી. પાકિસ્તાનમાં ઘુસી આંતકવાદનો સફાયો કર્યો છે. કોંગ્રેસના શાસનમાં આપણે સર ઝુકાઇને જીવવું પડતું હતું અને ભાજપની સરકારમાં આપણે આંખ ઉચી કરીને ચાલીએ છીએ. આજે ગુજરાતનું મોડલ અમે ઉત્તર પ્રદેશમાં પણ લાગુ કર્યુ છે એને યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપી વિકાસની નવી ઉંચાઇ તરફ આગળ જઇ રહ્યુ છે.
કેશવ પ્રસાદ મોર્યજીએ કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દેશમાં કોરોનાની વૈશ્વીક મહામારી આવી. જો કેન્દ્રમાં ભાજપ અને મોદી સરકાર ન હોત તો કોંગ્રેસની સરકાર હોત તો શું આપણા દેશના વૈજ્ઞાનિકો કોરોના સામે રસી બનાવી શકત? રાહુલ ગાંધી તો કહેતા કે, આ મોદીની રસી છે અમે નહી લગાવીએ. કોંગ્રેસે ભારતના વૌજ્ઞાનિકોનું અપમાન કર્યુ છે. નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ફ્રીમાં રસી આપી અને ફ્રીમાં અનાજ આપવાની વ્યવસ્થા કરી છે. જયારે ગુજરાતમાં કમળ ખીલે તો આખા દેશમાં કમળ ખીલે છે. આજે ભારત કોઇ દેશમાં સંકટ આવે તો મદદ માટે હાથ લંબાવે છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રદ્દ કરી ભારતનું અભિન્ન અંગ બનાવી દીધું. કોંગ્રેસ મુકત ભારત બનાવવાની શરૂઆત ગુજરાતથી થવી જોઇએ. ગુજરાત અને યુપીમાં ડબલ એન્જિનની સરકારથી વિકાસના અવિરત કામ થઇ રહ્યા છે, તેથી આ વખતે ફરી પ્રંચડ જીત મળે તે માટે પ્રયત્ન કરવાના છે.
આ જાહેરસભામાં મહુવા વિધાનસભાના ઉમેદવાર મોહન ઢોળિયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત જન મેદનીને સંબોધતા જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમાં કરેલા વિકાસના કાર્યોથી આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આદિવાસી સમાજ માટે ઘણા વિકાસના કામ કર્યા છે. ગુજરાતમાં દર્દીઓને ઝડપથી સાવાર મળે તે માટે 108 ની સુવિધા શરૂ કરી જેના કારણે કેટલાય દર્દીઓને ઝડપથી સારવાર મળી રહી છે. પહેલા ગુજરાતમાં જમવાના સમયે પણ વિજળી ન હતી આવતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી, ત્યાર પછી ગુજરાતમાં 24 કલાક વિજળી મળે છે. કોરોના જેવી મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશની જનતાને એક નહી બે કોરોનાની રસી આપી અને ગરિબ પરિવાર ભુખ્યો ન સુવે તે માટે ફ્રીમાં અનાજ આપવાની સુવિધા કરી આપી હતી. આયુષ્યમાન ભારત કાર્ડ થકી આજે પાંચ લાખ રૂપિયા સુધીની ફ્રીમાં સારવાર મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સમ્માન નિધિ યોજના થકી વર્ષમાં બે હજારના 3 હપ્તા જમા થાય છે. મહુવા વિધાનસભા ચેકડેમ બનાવવામાં પહેલા નંબરે છે. આ વિધાનસભા એક લવ્ય સ્કુલ, સાયન્સ કોલેજ, રોડ-રસ્તા, શિક્ષણમાં આગળ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી ઇમારતો પણ આપણે બનાવી છે. આ વખતે મોટી સંખ્યામાં મતદાન કરી દિલ્હી કમળ મોકલજો તેવી વિનંતી મોહન ઢોળીયાએ કરી હતી.
મોહન ઢોળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં કેટલાક મફત આપવાવાળા પણ આવશે. શિક્ષણ, વિજળી મફત આપવાનું કહે છે, ગુજરાતની જનતાને છેતરવા આવી ગયા છે. આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહી છે. કોંગ્રેસના ઉમેદવાર જનતાની સેવા કરવા નથી, પણ ધારાસભ્ય બનવા આવી ગયા છે.