Gujarat Assembly Election 2022: BJP પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જલાલપોર ખાતે જનસભાને સંબોધી
Gujarat Assembly Election 2022: રાજ્યમાં પ્રથમ ચરણના 89 સીટો ઉપર મતદાન થવાનું છે, ત્યારે 89 માંથી 82 ઉપર કેન્દ્રીય નેતૃત્વ અને સંગઠનના હોદેદારો પ્રચંડ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે.
Gujarat Assembly Election 2022: રાજ્યમાં પ્રથમ ચરણના 89 સીટો ઉપર મતદાન થવાનું છે, ત્યારે 89 માંથી 82 ઉપર કેન્દ્રીય નેતૃત્વ અને સંગઠનના હોદેદારો પ્રચંડ ચૂંટણી પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે, આ અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આર. સી. પટેલના સમર્થનમાં એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજની જલાલપોરની આ જાહેરસભામાં આખા દિવસમાં પહેલીવાર આટલી બધી બહેનો જોવા મળી છે અને આટલી બધો વિશાળ જનસમુદાય જોવા મળી રહ્યો છે. આ જનસમુદાય જોતા જલાલપોરની સીટ માટે હું ચિંતામુક્ત થઇ ગયો છું. મને વિશ્વાસ થઇ ગયો છે કે આ વખતે આર. સી. ભાઇ તેમનો જ રેકોર્ડ તોડી જંગી લીડ સાથે ગુજરાત વિધાનસભામાં જવાના છે.
સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડની એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, આ વખતે હું મારા જ તમામ રેકોર્ડ તોડવા માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ચૂંટણી લડાઇ રહી છે, ત્યારે મને દેખાય છે કે, જલાલપોરની જનતા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન જ સાકાર નથી કરવાની પરંતુ આર. સી. પટેલને પણ સૌથી વધુ લીડ સાથે જીતાડી તેમને સરપ્રાઇઝ આપવા જઇ રહી છે. આ વખતે પણ લોકતંત્રના મહાપર્વનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી તરફી દેખાય છે. કોંગ્રેસ અને રેવડી આપનારી આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિકાસની રાજનીતિને સ્વીકારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી એ સત્તાના માધ્યમ થી સેવા કરવાનો આશય ધરાવે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર જમીની સ્તરે ઉતરી જરૂરિયાતમંદોની સેવા, રાજ્ય સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી કોઇપણ જાતના લાભની આશા સિવાય પહોંચાડી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની તાકાત જ બૂથ મેનેજમેન્ટ અને કાર્યકર્તા છે.
સી. આાર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાથી વંચિત હોવા છતાં ઠેર ઠેર દિવાલો ઉપર પેઇન્ટ કરાવે છે કે, કોંગ્રેસના કામ બોલે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તેમને સમજાવી રહ્યો છે કે કોંગ્રેસના કામ નહીં, પણ ભ્રષ્ટાચાર બોલે છે તેવું પેઇન્ટ કરાવો. ભારતીય જનતા પાર્ટીમાં કામના આધારે જવાબદારીની વહેંચણી થાય છે. પૈસાના આધારે ટીકીટ વહેંચવામાં આવતી નથી કે તે અંગેની કોઇ ફરીયાદ પક્ષમાં આવતી નથી. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે કામ કરનારી પાર્ટી છે. રાજ્યમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસની અવિરત યાત્રા ચાલુ રાખી છે. નરેન્દ્ર મોદીના પરિશ્રમ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને જનતાનો વિશ્વાસ હોવાથી ગર્વભેર કહી શકે છે કે, આ ગુજરાત મેં બનાવ્યું છે. ગુજરાતમાં મફતની રેવડી આપી સત્તા હાંસલ કરવાના દિવા સ્વપ્નમાં રાચનારની ડિપોઝિટ આંચકી લઇ ફરી ગુજરાત સામે નજર ન કરે તે માટે મતદાનના દિવસે મતદાન કરી અને કરાવી જલાલપોરની સીટ એક લાખથી વધુની લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલવા અપીલ કરી હતી.
નવસારી જિલ્લાના જલાલપોર વિધાનસભા સીટના ઉમેદવાર આર. સી. પટેલના સમર્થનમાં યોજાયેલ આ જાહેર સભામાં જિલ્લા ભાજપના પ્રુમુખ ભુરાભાઇ, પ્રદેશ મંત્રી ઉષાબેન રાષ્ટ્રીય મંત્રી સત્યકુમાર, શીતલ સોની, રણજીતભાઇ તેમજ જિલ્લા સંગઠનના હોદેદારો અને ચૂંટાયેલી પાંખના પ્રતિનિધીઓ અને વિશાળ સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.