gujarat assembly election 2022 : '2022માં સરકાર બનશે તો દારૂબંધી હટાવી દેવાશે'
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ દારૂબંધીને લઈને નિવેદન આપ્યું છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, તો દારૂબંધી હટાવી શકાશે.
gujarat assembly election 2022 : ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ દારૂબંધીને લઈને નિવેદન આપ્યું છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, તો દારૂબંધી હટાવી શકાશે. તેમના આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટી હવે ભીંસમાં આવી ગઈ છે. વાસ્તવમાં કોંગ્રેસ પાર્ટીએ ગુજરાત સરકાર પર દારૂબંધીને લઈને અનેક વખત સવાલો ઉઠાવ્યા છે.
'દારૂબંધીવાળા ગુજરાત'માં દારૂબંધીને હટાવવાની વાત કરી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા દ્વારા અમદાવાદમાં રાહુલ ગાંધી ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગના ઉદ્ઘાટન સમારોહમાં ભરતસિંહ સોલંકી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ હાજરી આપી હતી. આ દરમિયાન ભરતસિંહ સોલંકીએ 'દારૂબંધીવાળા ગુજરાત'માં દારૂબંધીને હટાવવાની વાત કરી હતી.
આ બાબતે ગુજરાતની જનતાએ નિર્ણય લેવો જોઈએ
ભરતસિંહ સોલંકીએ ઈશારામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થાય છે અને જે રીતે દારૂની હેરાફેરી કરનારાઓ ભાજપ સાથે સાંઠગાંઠ કરીને પૈસા કમાય છે. તેના બદલે આ નાણા સરકારની તિજોરીમાં જવા જોઈએ, પરંતુ આ બાબતે ગુજરાતની જનતાએ નિર્ણય લેવો જોઈએ.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 'હું માનું છું કે, ગુજરાતની જનતાએ સાથે મળીને આવો નિર્ણય લેવો જોઈએ જેથી કરીને લોકો ઠંડીની મજા માણી શકે'. એટલે કે ક્યાંક ભરતસિંહ સોલંકી દારૂબંધી હટાવવાના સમર્થનમાં દેખાયા હતા.
In the inaugural function of “RG Premier League” cricket tournament at ahmedabad with @INCGujarat president Shri @jagdishthakormp @LOPGuj Shri Sukhrambhai Rathwa and @INCIndia social media chairman @rohanrgupta pic.twitter.com/oEvHP8PZfz
— Bharat Solanki (@BharatSolankee) December 13, 2021
જો ગરીબ લોકો દારૂ માટે પૈસા ખર્ચે છે તો એ ખોટું છે
ભરતસિંહ સોલંકી આટલેથી જ અટક્યા ન હતા. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ માનતા હતા કે, જો ધનિક વર્ગના લોકો સારી ગુણવત્તાનો દારૂ પીવે છે, તો તેમાં કંઈ ખોટું નથી, પરંતુ જો ગરીબ લોકો દારૂ માટે પૈસા ખર્ચે છે તો એ ખોટું છે.
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે, તો મહિલાઓની મંજૂરી વગર નશાબંધી હટાવવામાં નહીં આવે, પરંતુ જો મહિલાઓ નશાબંધી હટાવવામાં સાથ આપશે, તો આવનારા સમયમાં કોંગ્રેસ ગુજરાતમાંથી દારૂબંધી હટાવશે.
પ્રતિબંધમાં કોઈ છૂટછાટ આપી શકાય નહીં
આ સાથે ભરતસિંહના આ નિવેદન પર ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાત "ગાંધીનું ગુજરાત" છે. અહીં પ્રતિબંધમાં કોઈ છૂટછાટ આપી શકાય નહીં, પરંતુ કોંગ્રેસના આ દાવા બાદ 2022ની ચૂંટણીમાં દારૂબંધીથી કોંગ્રેસને ફાયદો થશે કે, નુકસાન થશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.