Gujarat Assembly Election 2022 : કોંગ્રેસે ગરીબી હટાવો નું સ્લોગન આપ્યું, પણ તેમના શાસનમાં ગરીબી વધી -PM મોદી
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા સમયે એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી હટાવો નું સ્લોગન આપ્યું હતું.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા સમયે એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી હટાવો નું સ્લોગન આપ્યું હતું, પણ તેમના શાસનમાં સૌથી વધુ ગરીબી વધી છે. આ દ્વારા કોંગ્રેસે કોઇ નક્કર કામ કર્યું નથી. માત્ર વાતો કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરી છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નગર ખાતે એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં 5 ડિસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન યોજાશે.
વડાપ્રધાન મોદીએ આરોપ લગાવ્યો છે કે, દશકોથી કોંગ્રેસ એક જ વાત કહી રહી છે - ગરીબી હટાવો. લોકોએ તમને તે કરવાની સત્તા આપી હતી, પરંતુ તમે લોકોને ગરીબી દૂર કરવાનું કહેતા હતા. તેઓએ માત્ર સૂત્રોચ્ચાર કર્યા, વચનો આપ્યા અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. આ જ કારણ હતું કે, કોંગ્રેસની સરકાર દરમિયાન ગરીબી ખરેખર વધી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારની નીતિઓને કારણે ગરીબ નાગરિકો અર્થતંત્રમાં સક્રિય ભૂમિકા ભજવી શક્યા નથી. કોંગ્રેસના શાસનમાં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હોવા છતાં ગરીબો બેંક ખાતા ખોલાવી શક્યા ન હતા.
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસે તેમની સરકાર દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ગરીબ લોકો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયના લોકોને પ્રાથમિકતા આપી નથી.
આ વર્ષની શરૂઆતમાં આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણીનો ઉલ્લેખ કરતા મોદીએ આક્ષેપ કર્યો હતો કે, વિરોધ પક્ષ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર કબ્જો કરતી આદિવાસી મહિલાની તરફેણમાં નથી. મુર્મુ દરેક આદિવાસી પરિવાર અને દરેક નાગરિકનું ગૌરવ છે, પરંતુ કોંગ્રેસે તેમની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. તેઓ કોઈ આદિવાસી મહિલાને ભારતના રાષ્ટ્રપતિ બનાવા દેવા માંગતા ન હતા. તેથી જ તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો હતો. નહિંતર તેમણે સર્વસંમતિથી ચૂંટાયા હોત. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ગુરુવારના રોજ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થયું હતું. જ્યારે બાકીની 93 સીટો પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જેની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.